રાજકોટ વિશ્વમાં 10 લાખમાંથી એકને થતી લિવરની બીમારી

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ સ્થિત કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક બાળકને વિશ્વના 10 લાખમાંથી કોઈ એક બાળકને થતી અત્યંત દુર્લભ એવી ક્રીગલર-નાઝર-સિંડ્રોમ નામની લિવરની બીમારી લાગુ પડી હતી. 8 માસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ, આ બાળકને હોસ્પિટલના તબીબોની સઘન સારવાર અને દેખરેખ હેઠળ સ્વસ્થ કરવામાં આવ્યું છે. હવે આ બાળકનું મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
ડો. રાધિકા નંદાણીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં એક નવજાત શિશુ કમળાની ગંભીર બીમારી સાથે દાખલ થયું હતું. બાળરોગ નિષ્ણાત ડો. રાધિકા નંદાણીએ વિગતો આપતા જણાવ્યું કે, એક મહિનાના બાળકને વારંવાર કમળો થતો હતો. બાળકના ઊંડાણપૂર્વકના ઇન્વેસ્ટિગેશન કરાવતા તેને અત્યંત દુર્લભ બીમારી ક્રીગલર-નાઝર-સિંડ્રોમ હોવાનું નિદાન થયું. આ બીમારી વિશ્વમાં 10 લાખમાંથી એક બાળકને થાય છે અને ભારતમાં આવા કેસો ભાગ્યે જ જોવા મળે છે. આ બીમારીમાં બિલિરૂબિન નામનો પદાર્થ શરીરમાંથી બહાર નીકળી શકતો નથી, અને તેની વધુ માત્રા થવાથી બાળકના માનસિક વિકાસ પર ગંભીર અસર થાય છે.