રાજકોટ ગુજરાતમાં ત્રીજા અને દેશભરમાં 37મા ક્રમેથી 19મા ક્રમે પહોંચ્યું

આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત સ્વચ્છ સર્વેક્ષણ 2024-25ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ કોર્પોરેશને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા બાદ ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત, સમગ્ર ભારતના 4,589થી વધુ શહેરોમાંથી રાજકોટ 19મા ક્રમે રહ્યું છે, જે ગયા વર્ષના 37મા રેન્ક કરતાં ઘણો સુધારો દર્શાવે છે.
સિટીઝન ફીડબેકમાં રાજકોટને દેશમાં ચોથો ક્રમ મળ્યો રાજકોટ મ્યુનિસિપલ કમિશરને જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને 3 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી અને વોટર પ્લસ સિટી સર્ટિફિકેટ પણ મળ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે, સિટીઝન ફીડબેકમાં રાજકોટને સમગ્ર દેશમાં ચોથો ક્રમ મળ્યો છે, જે શહેરીજનોના સહયોગ-સફાઈ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25માં રાજકોટ શહેરને કુલ 12,500 માર્ક્સમાંથી 10,634 માર્ક્સ પ્રાપ્ત થયા છે. જેમાં સર્વેક્ષણની કેટેગરી હેઠળ 10,000 માંથી 8,634 માર્ક્સ અને સર્ટિફિકેશનની કેટેગરી હેઠળ 2,500 માંથી 2,000 માર્ક્સ મળ્યા છે.
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 4 તબક્કામાં યોજવામાં આવ્યું વર્ષ 2016માં જ્યારે સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત થઈ ત્યારે ભારતના કુલ 73 શહેરોએ ભાગ લીધો હતો, જ્યારે 2024-25માં 4,589થી વધુ શહેરોએ ભાગ લીધો છે. આ વર્ષના સ્વચ્છ સર્વેક્ષણની થીમ "રીયુઝ, રીડ્યુઝ, રીસાયકલ" હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એપ્રિલ 2024થી એપ્રિલ 2025 સુધી 4 તબક્કામાં યોજવામાં આવ્યું હતું. પ્રથમ અને બીજા તબક્કામાં શહેરોના નાગરિકો પાસેથી સફાઈ અંગેના ફીડબેક લેવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કામાં બલ્ક વેસ્ટ જનરેટર દ્વારા તેમના કચરાનું યોગ્ય પ્રોસેસિંગ કરવાનું હતું અને ચોથા તબક્કામાં ઓન-ગ્રાઉન્ડ વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું.