રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેન તરીકે તાપી-વ્યારાના રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ નરેન્દ્રભાઈ પિઠવાને ચેરમેન તરીકે મૂકવામાં આવ્યા છે. જેથી, હવે સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 5000માંથી હવે બાકી રહેલી 650 જેટલી શાળાઓની ફી નક્કી કરવાની કામગીરી આગળ વધશે.
સૌરાષ્ટ્ર ઝોનની FRCમાં રાજકોટ સહિત જામનગર, દેવભૂમી-દ્વારકા, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ 11 જિલ્લાઓની 5000 જેટલી ખાનગી સ્કૂલોની ફી નિર્ધારિત કરવાની હોય છે. જ્યા શાળાઓની સુવિધા અને સ્ટ્રક્ચર પરથી ત્રણ વર્ષ માટે 10 ટકાનો વધારો મળતો હોય છે પરંતુ, ગત તા.31મી જાન્યુઆરી, 2025ના રોજ સૌરાષ્ટ્ર ઝોનની FRCના ચેરમેન પી.વી. અગ્રાવતે રાજીનામુ આપી દેતા 650 જેટલી શાળાઓની ફી નિર્ધારિત કરવાની કામગીરી ટલ્લે ચડી હતી. જેના કારણે 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓને અસર થઈ હતી.