લોકસભામાં સવાલ; શું આપણી અનેક શૈક્ષણિક સંસ્થાઓ હજુ માન્યતા વિના ચાલી રહી છે?

દેશમાં ઉચ્ચ શિક્ષણને લઇને ચિંતાજનક ચિત્ર સપાટી પર આવ્યું છે. દેશની કુલ 1113 યુનિવર્સિટી પૈકી 695 અને કુલ 43796 કોલેજો પૈકી 34734 ને નેક (નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રિડેશન કાઉન્સિલ)થી માન્યતા મળેલી નથી. શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકારે સોમવારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
તેનો અર્થ એ છે કે, દેશની 62 ટકા યુનિવર્સિટી અને 78 ટકા કોલેજ નક્કી માપદંડ મુજબ નથી. કારણ કે યુજીસીએ ઉચ્ચ શિક્ષણમાં સુધારા માટે નેક પાસેથી માન્યતા ફરજિયાત કરી હતી. જે હેઠળ સાત માપદંડ (કરિક્યુલમ, ટીચિંગ, લર્નિંગ, રિસર્ચ એક્સટેન્શન, ઇન્ફ્રાસ્ટ્રકચર, વિદ્યાર્થીઓને સપોર્ટ, ગવર્નન્સ લીડરશિપ તેમજ ઇનોવેશન પ્રેક્ટિસ) નક્કી કરાયા હતા.જો શિક્ષણ સંસ્થા આ માપદંડ મુજબ હોય છે તો જ તેને નેક પાસેથી માન્યતા મળે છે.
ઇતિહાસ ફરી લખી રહ્યા નથી, માત્ર કેટલાક છુટી ગયેલા પાના ઉમેરી રહ્યાં છીએ...
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં પૂછાયેલા સવાલનાં જવાબમાં કહ્યું હતું કે, ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદની દેશનો ઇતિહાસ ફરી લખવાની કોઇ યોજના નથી. ફક્ત જે મોટી ઐતિહાસિક ઘટનાઓ છૂટી ગઇ છે તેને ઇતિહાસમાં સામેલ કરાઇ રહી છે. મોદી સરકારે ગુરુ ગોવિન્દ સાહિબનાં પુત્રો (જોરાવર સિંહ અને ફતેહસિંહ)ની યાદમાં વીર બાળ દિવસ મનાવવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં આશરે 1100-1200 વર્ષ સુધી વિદેશ શાસન રહ્યું. આ ગાળામાં કેટલાક શૂરવીરોએ દેશનાં ગૌરવ માટે પ્રાણોની આહુતિ આપી હતી. સરકાર માત્ર આવી જ ઘટનાઓનાં ગેપને ભરવા ઇચ્છુક છે.
ખેડૂત; દેશમાં સૌથી વધુ દેવાનો બોજ આંધ્ર, કેરળ અને પંજાબમાં..
આંધ્રમાં સરેરાશ ખેડૂત દીઠ રૂ. 2.45 લાખ દેવું છે, જે દેશમાં સૌથી વધુ છે. કેરળ રૂ. 2.42 લાખ સાથે બીજા સ્થાને, પંજાબ રૂ. 2.03 લાખ સાથે ત્રીજા ક્રમે છે.
નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી ડો. ભાગવત કરાડે લોકસભામાં આ વિગત રજૂ કરી હતી.
સરકારી કંપની; નુકસાનમાં ચાલતા એકમો 30 ટકા સુધી ઘટી ગયા
- 2019-20માં દેશની 84 કંપની ખોટમાં હતી, જે 2021-22માં ઘટીને 59 થઈ ગઈ. નુકસાનની રકમ પણ ત્રણ વર્ષમાં રૂ. 44817 કરોડ ઘટીને રૂ. 14586 કરોડ થઇ છે.
- નાણા મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કરાડે લોકસભામાં આ આંકડા આપ્યા હતા.
આત્મહત્યા; ત્રણ વર્ષમાં બેરોજગાર અને નોકરિયાતનો આંક એકસમાન
- દેશમાં 2019-21 વચ્ચે એટલે કે 3 વર્ષમાં 1.2 લાખ મજૂરે આત્મહત્યા કરી છે. આ ગાળામાં 66,912 ગૃહિણી, 53,661 ઉદ્યોગપતિ, 43,420 નોકરિયાત અને 43,385 બેરોજગારે આત્મહત્યા કરી હતી.
- શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે લોકસભામાં જણાવ્યું હતું.
ડિજિટલ લેવડદેવડ; ચાર વર્ષમાં જ 200% કરતા પણ વધી ગઈ
- 2018-19માં રૂ. 2,326 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે 2021-22માં રૂ. 7,197 કરોડ થયા. 45 અબજ UPI ટ્રાન્ઝેક્શન્સ થયા, જે ચાર વર્ષમાં 50 ગણો વધારો દર્શાવે છે.
- નાણામંત્રી સીતારમણે આ જાણકારી આપી.