શેરબજારમાં ટ્રેડિંગનો સમય પાંચ વાગ્યા સુધી લંબાવવાનો પ્રસ્તાવ

શેરબજારમાં ટ્રેડિંગનો સમય લંબાવવાની ચર્ચા ફરીએકવાર શરૂ થઈ છે. માર્કેટમાં ટ્રેડિંગનો સમય હાલ 3.30 વાગ્યાથી લંબાવીને 5 વાગ્યા સુધીનો કરવાનો પ્રસ્તાવ છે. સેબીએ 2018માં સમયમાં ફેરફારની રૂપરેખા તૈયાર કરી હતી. જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. હાલ શેરબજાર સવારે 9.15 વાગ્યે ખૂલે છે અને બપોરે 3.30 વાગ્યા સુધી ટ્રેડિંગ કરી શકાય છે. અહેવાલ અનુસાર સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગનો સમય લંબાવવાની તૈયારી થઈ રહી છે.
નિષ્ણાતોએ મંગળવારે જણાવ્યું હતું કે ટ્રેડિંગનો સમય લંબાવવાથી વૈશ્વિક માર્કેટની અનિશ્ચિતતાઓને કારણે ઉદભવતા જોખમ સામે રક્ષણ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે શેરબજારના સમયમાં વધારો કરવા અંગે અગાઉ પણ ચર્ચાવિચારણા થઈ હતી. જિયોજીત ફાયનાન્સિયલ સર્વિસિસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ.બાલાક્રિશ્નને જણાવ્યું હતું કે અમેરિકા તથા યુરોપ જેવા દેશોના માર્કેટની ઊથલપાથળની ભારતીય બજારોમાં પ્રતિક્રિયા જોવા મળે છે. તેથી ટ્રેડિંગનો લાંબો સમયગાળો ધરાવતા માર્કેટ આ પ્રકારની ઊથલપાથલોની અસરને ખાળી શકે છે.
ફાયર્સના સહ સ્થાપક તેજસ ખોદાયે પણ સમય લંબાવવાની તરફેણ કરતા કહ્યું હતું કે વૈશ્વિક બજારોના ઑવરનાઇટ રીસ્ક સામે સુરક્ષા માટે આ જરૂરી છે. ગત જાન્યુઆરીમાં સેબીએ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર) જારી કરીને જણાવ્યું હતું કે જો માર્કેટમાં કોઈ કારણોસર ટ્રેડિંગમાં અવરોધ સર્જાય તો માર્કેટે ટ્રેડિંગ મેમ્બર્સને 15 મિનિટમાં જાણકારી આપવાની રહેશે. એસઓપીમાં એમપણ જણાવાયું હતું કે જો બજાર બંધ થયાના એક કલાક પહેલા ટ્રેડિંગ સામાન્ય ન થાય તો એક્ચચેન્જો ટ્રેડિંગના સમયમાં દોઢ કલાકનો વધારો કરી શકે છે.