Ph.D કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ન Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવામાં ન આવતા આજે (4 ઓગસ્ટ)ના રોજ NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ દરમિયાન બહેનો પણ રજૂઆત કરવા પહોંચી હતી. જેમાંથી એક યુવતીએ કુલપતિની સમક્ષ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે એ તમને ખબર છે? જોકે, આ સમયે કુલપતિ થોડું હસ્યા અને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. યુવતીના આ કથનથી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સહયોગથી આજે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો NSUIના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેનું કારણ એ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી Ph.Dની પ્રવેશ માટેની પરીક્ષા લેવામાં આવતી નથી. જેમાં NSUIના ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં NET અને GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવાનો આજે કુલપતિએ નિર્ણય કર્યો હતો.
16 ડિસેમ્બર, 2023 બાદથી Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવાતી બંધ આજના આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, પરંતુ બાદમાં કુલપતિએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતા તમામ કાર્યકર્તાઓ નીકળી ગયા હતા. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લે 16 ડિસેમ્બર, 2023ના રોજ પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી, જે બાદથી બંધ છે.