'સરકારમાં પણ અમારા જ માણસો બેઠેલા છે, અમને કોઇની બીક નથી’ કહી પતિ માર મારતો: પીડિત મહિલા

રાજકોટની પરિણીતાને તેના પતિ સહિત સાસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની વધુ એક ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એટલું જ નહીં સરકારમાં પણ અમારા જ માણસો બેઠેલા છે કઇ નહીં થાય કહી પતિ અવારનવાર માર મારતો હોવાનો મહિલાએ ફરિયાદમાં ઉલ્લેખ કરતા પોલીસે પતિ સહિતના સાસરિયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સાસરિયા સામે શારીરીક તથા માનસીક ત્રાસની ફરિયાદ
27 વર્ષીય પરિણીતાએ આરોપી તરીકે પતિ યાજ્ઞિક દિનેશભાઈ જાટીયા, સસરા દિનેશભાઈ રાયધનભાઈ જાટીયા, સાસુ ભાવનાબેન, જેઠ ભરતભાઈ અને જેઠાણી અંજનાબેનનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે ઘરકામ કરે છે. તેમના લગ્ન આશરે દસ વર્ષ પહેલાં થયા છે. તેમને સંતાનમાં એક પુત્રી છે. તેમજ તેના સાસુ, સસરા, જેઠ, જેઠાણી હાલમાં તેમની સાથે રહેતા નથી. તેમના પતિ યાજ્ઞિક દિનેશભાઈ જાટીયા અવારનવાર નાની નાની વાતમાં મેણા ટોણા મારી મારકૂટ કરે છે અને મને યેન કેન પ્રકારે શારીરિક ત્રાસ આપે છે.
પતિ છરી કાઢીને મહિલાને મારવા દોડ્યો
ગઇ તા.15ના રાત્રીના નવ વાગ્યાની આસપાસ તે તેમના મોટાબેન રંજનબેનના ઘરે મળવા માટે ગઇ હતી. ત્યારે તેનો પતી યાજ્ઞિક ત્યાં આવ્યો અને તને આ બધા માણસો જ ચડાવે છે તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યો અને તેને બોલાચાલી નહી કરવાનું અને શાંતી રાખવાનું કહેતા તેનો પતિ એક્દમ ઉશ્કેરાઇ ગયો અને તેને ફડાકા ઝીંકી તથા માથા ઉપર મુક્કા મારવા લાગ્યો. ત્યાં હાજર તેના મોટાબેન રંજનબેને સમજાવવા છતા તે શાંત થયો નહી, અને પેન્ટના નેફામાંથી છરી કાઢીને તેને મારવા દોડ્યો હતો. ત્યારે ત્યાં હાજર રંજનબેને હાથ પકડી લેતા છરીથી નાક ઉપર છરકો થયો હતો. જે બાદ તે તેમના બહેનના ઘરે રોકાઇ હતી અને બીજા દિવસે માથામાં તથા શરીરે દુ:ખાવો થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, તેનો પતિ યાજ્ઞીક, સસરા દિનેશભાઇ રાયધનભાઇ જાટીયા, સાસુ ભાવનાબેન, જેઠ ભરતભાઇ તથા જેઠાણી અંજનાબેન સહિતના તેને માર મારી અવારનવાર નાની મોટી બબાતે મેણા ટોણા મારી શારીરીક તથા માનસીક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હતા. તેમજ તેનો પતિ અવારનવાર ત્રાસ આપી તારા બાપ પાસેથી રૂપીયા લઇ આવવાનું દબાણ કરતો હોય અને મોબાઇલ પણ જુટવી લીધો હતો. તેમજ સરકારમાં પણ અમારા જ માણસો બેઠેલા છે, તારાથી થાય તે કરી લેજે, અમને કોઇની બીક નથી કહી તેની પાસેથી સોનાના દાગીના લઇ લીધેલ હતાં અને સંતાનમાં માત્ર એક પુત્રી હોય જેથી પુત્ર નહી હોવા બાબતે પણ મેણા ટોણા મારી ત્રાસ આપ્યો છે.