ઓરેવા ગ્રૂપ પાસે 2005થી પુલનું સંચાલન હતું

મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બાદ ઓરેવા ગ્રૂપના ઉદ્યોગપતિને બચાવવા માટે આઈટી સેલ કામે લાગી ગયું છે અને તેમાં દાવો કરાયો છે કે, ઉદ્યોગપતિએ સમાજસેવા અને ધરોહર સાચવવા માટે આ પુલ રિનોવેટ કરીને ચાલુ કરાવ્યો હતો પણ ઉદ્યોગપતિ જયસુખ પટેલે જ ટિકિટો વેચીને પુલ જર્જરિત બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે.
વિધાનસભાના પ્રશ્નકાળમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના ધારાસભ્યોએ ઝૂલતા પુલ અંગેના પૂછેલા પ્રશ્નો તેમજ તેના જવાબ ચકાસતા વિગતો મળે છે કે 2005ના વર્ષમાં કે જ્યારે મોરબી રાજકોટનો જ ભાગ હતો ત્યારે જ ઝૂલતા પુલને ઓરેવા ગ્રૂપને 10 વર્ષ માટે સોંપી દેવાયો હતો. 2015માં જ્યારે મુદત પૂરી થઈ એટલે અંજતા મેન્યુ(ઓરેવા ગ્રૂપ)એ પોતાનો ટિકિટ વધારો માગી પુલનું સંચાલન ન કરવાનું કહી લખણ ઝળકાવ્યા હતા. જ્યારે પુલની ચકાસણી કરાઈ તો ત્યારે જર્જરિત હાલત હોવાનું જણાતા તત્કાલીન અધિકારીઓએ પુલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
આ નિર્ણય જ સાબિત કરે છે કે, ઉદ્યોગપતિએ 10 વર્ષ સુધી માત્રને માત્ર ટિકિટ જ લીધા કરી અને જાળવણી ન કરી એટલે પુલ ખરાબ થઈ ગયો. ફરી જ્યારે પુલને સોંપવા બેઠક કરાઈ ત્યારે ઝૂલતો પુલ ઓરેવા ગ્રૂપને સોંપવા શરતો નક્કી કરાઈ હતી જેમાં જરૂરી સમારકામ કરીને નવી ફીનો નિર્ણય લેવાયો જે મુજબ 12 વર્ષથી મોટા માટે 10 રૂપિયા અને 12 વર્ષથી નાના માટે 7 તેમજ સ્કૂલ પિકનિક માટે 2 રૂપિયા નક્કી કરાયા હતા.
જોકે નગરપાલિકા સાથે ઠરાવમાં 12 વર્ષથી મોટા માટે 15 રૂપિયા ફી લખી નખાઈ હતી અને સ્થળ પરથી 17 રૂપિયા લેવાતા હતા તેથી ઉદ્યોગપતિ જયસુખ પટેલની ગોબાચારી ત્યાંથી જ શરૂ થઈ ગઈ હતી. માત્ર એટલું જ નહીં પુલ શરૂ કરવા માટે ઓરેવા ગ્રૂપે 1.5 લાખ ખર્ચો બતાવ્યો હતો અને જર્જરિત પુલ ચાલુ કરી દીધો અને બાદમાં 70થી 80 લાખ ખર્ચ કરશે તેમ કહ્યું હતું.
જોકે મોરબી નગરપાલિકાને પુલમાં શું રિપેરિંગ કરાયું અને કેટલો ખર્ચ થયો તેનો એકપણ હિસાબ અપાયો નથી તેથી જયસુખ પટેલ સ્વચ્છંદી રીતે પ્રજાની માલિકીના બ્રિજને પોતાના ગ્રૂપની માલિકીનો બ્રિજ હોય તેવી રીતે વર્તન કર્યું છે, 2005થી અત્યાર સુધી દૂઝણી ગાય હોય તેમ બ્રિજમાંથી રૂપિયા કમાયા છે આખરે જાળવણીના અભાવે બ્રિજ તૂટ્યો અને સાથે 134 લોકોએ જીવ ગુમાવ્યા.
ગુજરાત વિધાનસભાના અતારાંકિત પ્રશ્ન 40412ની પૂરક નોંધ
રાજ્યના ઐતિહાસિક સ્મારકો પીપીપી ધોરણે રાજ્યના વિવિધ કોર્પોરેટ જૂથને સંચાલન માટે આપવાની નીતિ અંતર્ગત તત્કાલીન રાજકોટ જિલ્લા કલેક્ટરે ઝૂલતા પુલનું સંચાલન 2005માં ઓરેવા ગ્રૂપને સોંપવામાં આવ્યું હતું જેની મુદત વર્ષ 2015માં પૂરી થતા ઓરેવા ગ્રૂપ દ્વારા ઝૂલતા પુલનું સંચાલન કરવા માટે તેમજ પુલને રિપેરિંગ કરવાનો ખર્ચ કરવા માટે પ્રવાસીઓ પાસેથી લેવાતી ફીમાં વધારો માગ્યો હતો. પુલ જર્જરિત થઈ ગયો હોવાથી ત્યારે પુલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. 24-01-2020ના નગરપાલિકાના પ્રતિનિધિઓ, કલેક્ટર અને ઓરેવા ગ્રૂપના પ્રતિનિધિઓ વચ્ચે સંચાલન સોંપવા માટે બેઠક થઈ હતી જેમાં 12 વર્ષથી નાના માટે 7, 12 વર્ષથી મોટા માટે 10 રૂપિયા અને વિદ્યાર્થીઓ માટે 2 રૂપિયા નક્કી કર્યા હતા. હાલમાં આશરે 1.5 લાખ જેટલો ખર્ચ કરી કંપનીએ ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. આગામી સામાન્ય સભામાં મોરબી નગરપાલિકા બહાલી આપીને ઓરેવા ગ્રૂપ સાથે સંચાલન અને નિભાવણી માટે કરાર કરશે. જે પછી ઓરેવા ગ્રૂપ ઝૂલતા પુલને ચાર માસ જેટલો સમય બંધ રાખીને 70-80 લાખ ખર્ચ કરી સમૂળગી કાયાપલટ કરી પુન: ખુલ્લો મૂકશે. હાલમાં દૈનિક આશરે 220 પ્રવાસીઓ મુલાકાત લે છે.
તારાંકિત પ્રશ્ન ક્રમ 22900, ધારાસભ્ય મેરજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર
ઓરેવા અજંતા મેન્યુ. પ્રા. લિ. દ્વારા ઝૂલતા પુલનું રૂપિયા 25થી 30 લાખના ખર્ચ રિપેરિંગ કરીને ચાલુ કરવામા આવ્યો છે પણ આ અંગેના સત્તાવાર ખર્ચની વિગત મોરબી કલેક્ટર કે મોરબી નગરપાલિકાને રજૂ કરવામાં આવી નથી. ઓરેવા અજંતા દ્વારા વાસ્તવિક ખર્ચના બિલો રજૂ થયેલ રિપેરિંગ પાછળ થયેલા ખર્ચની વિગતો મોકલવામાં આવશે.