ક્લેમ નામંજૂર કરનાર વીમાકંપનીને 9 ટકા વ્યાજ સાથે ખર્ચની પુરી રકમ ચૂકવવા હુકમ

વીમા પોલિસી લેનાર ગ્રાહકોને યેનકેન પ્રકારે તેમના ક્લેમ નામંજૂર કરી દેવાનો વીમાકંપનીઓ દ્વારા જાણે ચીલો શરૂ થયો છે. ત્યારે ગ્રાહકોને એક પ્રકારે ઊઠાં ભણાવવાની નીતિ અપનાવતી જુદી જુદી વીમાકંપનીઓ સામે ગ્રાહક તકરાર નિવારણ કમિશને લાલ આંખ કરી અનેક કેસમાં વીમાકંપનીઓને લપડાક આપી છે. વધુ એક કેસમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યુરન્સ કંપનીને તેના પોલિસીધારકને ખર્ચની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા તેમજ રૂ.5 હજારનો ખર્ચ પણ ચૂકવવાનો રાજકોટ ગ્રાહક નિવારણ કમિશને હુકમ કર્યો છે.
પ્રુ હેલ્થ સેવર નામની સ્કીમમાં વાર્ષિક રૂ.50 હજાર ભર્યા
શૈલેષભાઇ ગોવિંદદાસ ઉદેશી ઉપરોક્ત વીમાકંપનીમાંથી પ્રુ હેલ્થ સેવર નામની સ્કીમમાં વાર્ષિક રૂ.50 હજાર ભર્યા હતા. તેમજ સાથે સંલગ્ન મેડિકલેમ પોલિસી સમઇન્સ્યોર્ડ રૂ.10 લાખની પણ લેવામાં આવી હતી. દરમિયાન શૈલેષભાઇના પુત્રની તબિયત લથડતાં તબીબની સૂચના મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. લાંબી સારવાર કારગત નહિ નિવડતા શૈલેષભાઇના પુત્રનું મૃત્યુ થયું હતું. પુત્રના મૃત્યુ બાદ શૈલેષભાઇએ વીમાકંપનીને કેશલેસ પ્રી ઓથોરાઇઝેશન માટે જાણ કરી હતી, પરંતુ વીમાકંપનીએ કોઇ પણ તપાસ કર્યા વગર કેશલેસ ઓથોરાઇઝેશનનો અસ્વીકાર કર્યો હતો.
વીમાકંપનીના પોતાના મનઘડંત નિર્ણયો
બાદમાં પુત્રીની સારવાર પાછળ થયેલો રૂ.8.96 લાખનો ખર્ચ મેળવવા વીમાકંપનીમાં પુત્રની સારવારના તમામ કાગળો રજૂ કરી ક્લેમ કર્યો હતો. ત્યારે વીમાકંપનીએ વધુ એક વખત મનસ્વી વલણ અપનાવી કોઇ પણ જાતનું કારણ જણાવ્યા વગર ક્લેમ નામંજૂર કર્યો હતો. આમ વીમાકંપનીના પોતાના મનઘડંત નિર્ણયોથી નારાજ શૈલેષભાઇએ એડવોકેટ શૈલેન્દ્રસિંહ આર.જાડેજા મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી.
પોલિસી લીધી ત્યારે તેને કોઇ બીમારી છુપાવીને પોલિસી લીધી નથી
ફરિયાદને પગલે બંને પક્ષોને સાંભળ્યા બાદ ફોરમે નોંધ કરતા જણાવ્યું કે, ફરિયાદીના પુત્રે જ્યારે પોલિસી લીધી ત્યારે તેને કોઇ બીમારી છુપાવીને પોલિસી લીધી નથી. તેવા સમયે વીમાકંપનીએ સાબિત કરવું પડે કે જ્યારે પોલિસી લીધી ત્યારે તેમને આવી બીમારી હતી અને તેમને પોલિસી લીધા પૂર્વે પ્રપોઝલ ફોર્મમાં ન દર્શાવી બદદાનતથી પોલિસી લીધી છે. અને પોલિસી લીધી તે દિવસે તે રોગ હતો અને તે કારણે જ તેનું મૃત્યુ થયું હોવાનો આધાર રજૂ કરવો પડે જે આધાર વીમાકંપનીએ રજૂ કર્યા ન હોય વીમાકંપની જ રકમ ચૂકવવા માટે જવાબદાર હોવાનું ઠેરવી ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે.