ટ્રકે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત, 1 વ્યક્તિને ઇજા

શહેરની ભાગોળે ખોખડદળ પુલ અકસ્માત ઝોન બની રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ટ્રકે ડબલસવારી બાઇકને ઠોકરે ચડાવતા એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.બનાવની પોલીસસૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર સુપેડી ગામે રહેતો નિરવ રાજેશભાઇ કુબાવત નામનો યુવાન કુવાડવા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતો હોય સોમવારે સવારે તે બાઇક લઇને નોકરીએ જવા નીકળ્યો હતો.
ગોંડલ રોડ ચોકડીએ પહોંચતા કંપનીમાં સાથે નોકરી કરતા નવાગામના અજય વિનોદભાઇ સરવૈયાને બાઇકમાં બેસાડી બંને કુવાડવા જવા નીકળ્યા હતા. દરમિયાન ખોખડદળ નદીના પુલ પર પહોંચતા પૂરઝડપે ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકર મારી હતી. જેને કારણે બંને યુવાન બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. સવારે અકસ્માતના બનાવને પગલે અન્ય વાહનોના પૈડાં થંભી ગયા હતા. અને અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં નિરવને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
જયારે અજયને સારવાર માટે દાખલ કર્યો હતો. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્ત અજયની ફરિયાદ પરથી અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો છે. પોસ્ટ વિભાગમાં નોકરી કરતા રાજેશભાઇને સંતાનમાં બે પુત્ર પૈકી નિરવ મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર, પુત્રી છે.