હવે ટ્રેન 45 મિનિટ વહેલા અમદાવાદ પહોંચાડી દેશે

રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે વર્ષ 2017થી ચાલી રહેલ ડબલ ટ્રેક કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. ડબલ ટ્રેક ઉપર ટ્રેન પણ દોડવા લાગી છે ત્યારે આ ડબલ ટ્રેક તૈયાર થઇ જવાથી સૌથી વધુ ફાયદો (સમયનો) યાત્રિકોને થશે. રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનો 1056.11 કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થવાથી રાજકોટથી અમદાવાદ જતા યાત્રિકોની 30થી 45 મિનિટનો સમય બચશે. યાત્રિકો સમયસર પોતાના યાત્રા સ્થળે પહોંચી શકશે. સિંગલ ટ્રેક હતો ત્યારે સુપરફાસ્ટ અને મેલ એક્સપ્રેસ 3.20 કલાકથી 3.45 કલાકનો સમય લેતી હતી.
હવે ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઇ જતાં રાજકોટના યાત્રિકો અંદાજે અડધી કલાકથી 45 મિનિટ અમદાવાદ વહેલા પહોંચી જશે. આ ઉપરાંત આગામી જૂન-2023 સુધીમાં રાજકોટથી સુરેન્દ્રનગર વચ્ચે ઈલેક્ટ્રિફિકેશનનું કામ પણ પૂર્ણ થઇ જવાનું હોવાથી ત્યારબાદ અમદાવાદ સુધી ઈલેક્ટ્રિફિકેશન સાથે દોડતી ટ્રેન સૌરાષ્ટ્રમાં પણ દોડતી થશે. રાજકોટ ડિવિઝનમાં 70થી વધુ ટ્રેન રાજકોટ-સુરેન્દ્રનગર રૂટ થઇને દોડી રહી છે ત્યારે હવે આ ડબલ ટ્રેક થઇ જવાથી યાત્રિકોના સમય બચવાની સાથે ટ્રેન પણ સમયસર દોડાવી શકાશે.
રાજકોટ-વેરાવળ, મોરબી ડેમુ સહિતની લોકલ ટ્રેન હજુ બંધ!
કોરોનાકાળ દરમિયાન દેશભરની અનેક ટ્રેન બંધ થઇ ગઈ હતી જેમાંથી મોટાભાગની ટ્રેન ફરી શરૂ કરી દેવાઇ છે પરંતુ કોરોના પહેલા બંધ કરાયેલી કેટલીક લોકલ ટ્રેન હજુ સુધી શરૂ નહીં થતાં ગામડાંઓમાં અપડાઉન કરતા કે મુસાફરી કરતા યાત્રિકોને સૌથી વધુ ફટકો પડ્યો છે. રાજકોટ ડિવિઝનમાં ઓખા-વિરમગામ, રાજકોટ-મોરબી ડેમુ ટ્રેન અને રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેન હજુ સુધી બંધ છે. રાજકોટ-મોરબી ડેમુ ટ્રેનમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અપડાઉન કરી રહ્યા હતા. એવી જ રીતે રાજકોટ-સોમનાથ ટ્રેન ફાયદારૂપ હતી. આ ત્રણેય ટ્રેન કોરોનાકાળ પૂર્ણ થયાને પણ મહિનાઓ વીતી જવા છતાં હજુ સુધી સામાન્ય જનતાને ઉપયોગી આ લોકલ ટ્રેન હજુ શરૂ કરવામાં આવી નથી.
ડબલ ટ્રેકથી યાત્રિકોને આટલા ફાયદા થશે
- યાત્રિકોનો સમય બચશે અને ટ્રેનની સ્પીડ વધારી શકાશે.
- સમયાંતરે મોડી પડતી ગાડીઓ હવે મોડી નહીં પડે.
- પેસેન્જર ટ્રેન અને માલગાડી બંનેને ડબલ ટ્રેકથી ફાયદો થશે. બે ટ્રેક થતા હવે રેલવે ટ્રેક ઉપરનું ભારણ ઘટશે.
- રેલવે ક્રોસિંગ ઓછા થઇ જશે, ટ્રેનને ક્રોસિંગમાં ઊભું રહેવું નહીં પડે.
અમદાવાદ 8-10 કલાક પડી રહેતી ટ્રેન રાજકોટ સુધી લંબાવી શકાશે, નવી ટ્રેન મળશે
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનું કામ પૂર્ણ થઇ જતા હવે અમદાવાદ ફાજલ પડી રહેતી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ અત્યાર સુધી ડબલ ટ્રેકને કારણે સૌરાષ્ટ્રને નવી ટ્રેન મળતી ન હતી, પરંતુ હવે ડબલ ટ્રેક તૈયાર થઇ જતા નવી ટ્રેન મળવાની પણ સંભાવના પ્રબળ બની છે. ડબલ ટ્રેક તૈયાર થઇ જવાથી નવી ટ્રેન મળવાનો રસ્તો ખૂલી ગયો છે.
ટ્રેન સમયસર દોડશે અને તેની સ્પીડ પણ વધશે
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેક ગાડીઓ ઓછી મોડી પડશે અને સમયસર ચાલશે અને ટ્રેનને વધારે ઝડપથી દોડાવી શકાશે.