હવે મકર સંક્રાંતિ પછી લગ્ન માટે મુહૂર્ત રહેશે

16 તારીખે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરશે અને ધનુર્માસ શરૂ થઈ જશે. જેને ધનારક કમુરતાં પણ કહેવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે આ સમયગાળા દરમિયાન માંગલિક કાર્યો થઈ શકે નહીં. ધનુર્માસ 14 જાન્યુઆરી 2023 સુધી રહેશે. તે પછી લગ્ન માટે મુહૂર્ત મળી શકશે.
16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રએ જણાવ્યું કે 16 ડિસેમ્બરે સાંજે લગભગ 7 વાગે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. જેથી ધનુર્માસ શરૂ થઈ જશે. આ મહિનો 14 જાન્યુઆરી સુધી રહેશે. મકર સંક્રાંતિ સાથે ધનુર્માસ પૂર્ણ થઈ જશે. આ આખા ધનુર્માસમાં સૂર્ય, ગુરુની રાશિમાં હોય છે. જ્યોતિષીય ગ્રંથો પ્રમાણે જ્યારે પણ સૂર્ય, ગુરુની રાશિ એટલે ધનમાં રહે છે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના મંગળ કાર્યો થઈ શકતાં નથી.
ધનુર્માસમાં માંગલિક કાર્યો થઈ શકતાં નથી
ગુરુ માંગલિક કાર્યોનો કારક ગ્રહ છે. ધન અને મીન રાશિ ગુરુ ગ્રહની રાશિ છે. જેમાં ગ્રહરાજ સૂર્યના પ્રવેશ કરતાં જ ધનુર્માસ દોષ લાગે છે. જ્યોતિષ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્યની રાશિમાં ગુરુ હોય અને ગુરુની રાશિમાં સૂર્ય સંક્રમણ કરી રહ્યો હોય તો બુધાદિત્ય કાળ કહેવામાં આવે છે. આ કાળમાં બધા શુભ કાર્યો કરવા વર્જિત માનવામાં આવે છે. 16 ડિસેમ્બરે સૂર્ય ગ્રહ ધન રાશિમાં પ્રવેશ કરશે. એવામાં આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો થઈ શકતાં નથી.
વિષ્ણુ, દેવગુરુની પૂજા કરવાથી લાભ
શાસ્ત્રો પ્રમાણે, ધનુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે તો જીવનમાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય છે. સૂર્ય સિવાય દેવગુરુના મંત્રનો જાપ કરવો પણ લાભકારી માનવામાં આવે છે. નિત્ય મંદિર જઈને દેવ દર્શન કરવા પણ ફળદાયી રહે છે.
આવતા વર્ષે હોળી પહેલાં લગ્ન માટે 23 મુહૂર્ત
આવતા વર્ષે હોળી પહેલાં લગ્ન માટે 23 મુહૂર્ત રહેશે. તેમાં જાન્યુઆરીમાં 9 અને ફેબ્રુઆરીમાં 14 દિવસ લગ્ન થશે. 28 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થશે. એટલે હોળી પહેલાંના આઠ દિવસ માંગલિક કાર્યો માટે શુભ માનવામાં આવતાં નથી. તે પછી 15 માર્ચથી મીનમાસ રહેશે. આ દરમિયાન લગ્ન થઈ શકે નહીં. એટલે 4 મેથી લગ્નની સિઝન શરૂ થશે. જે 27 જૂન સુધી રહેશે.
જાન્યુઆરી: 15, 16, 18, 19, 25, 26, 27, 30 અને 31
ફેબ્રુઆરી: 6, 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 22, 23 અને 28