પાક.નો પંજાબમાં આતંક ફેલાવવાનો પ્રયાસ

પંજાબમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. BSFને ફિરોઝપુરમાંથી હથિયારોથી ભરેલી બેગ મળી આવી, જેમાં હથિયારો અને દારૂગોળો હતો. BSFએ બેગ જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેગને અહીં ડ્રોન દ્વારા પહોંચાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ફિરોઝપુર સેક્ટરમાં BSFના 136 બટાલિયન તરફથી એક સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. BSFને કેટલાક ઈનપુટ મળ્યા હતા, જેના પછી આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ઝીરો લાઈનની બરાબર નજીક એક મોટી બેગ જોવા મળી હતી. જ્યારે એની તપાસ કરવામાં આવી ત્યારે એમાં મોટી માત્રામાં દારૂગોળા ભરેલા હતા. BSF જવાનોએ તરત જ ઉચ્ચ અધિકારીઓને આ વિશેની જાણકારી આપી હતી.
BSFએ બેગમાંથી 3 AK-47, 5 MP-5 (મિની AK-47), 3 પિસ્તોલ અને 17 ખાલી મેગેઝિન જપ્ત કર્યાં છે. આ ઉપરાંત બેગમાંથી 100 ગોળી અને 5.56 MMની 100 ગોળીઓ મળી છે.
હથિયારોનો આટલું મોટું કન્સાઈનમેન્ટ પંજાબમાં મોકલવાનો હેતુ અરાજકતા ફેલાવવાનો છે. પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ પંજાબમાં દાણચોરો અને ગેંગસ્ટરનો ઉપયોગ કરીને પંજાબમાં આતંક ફેલાવવા માગે છે.
નિષ્ણાતો માને છે કે અગાઉ સતત મોકલવામાં આવતાં ડ્રોન માત્ર BSFનું ધ્યાન હટાવવા માટે હોઈ શકે છે. પાકિસ્તાનમાં બેઠેલા દાણચોરો અને આતંકવાદીઓ તેમનું ધ્યાન હટાવવા માટે ભારે માત્રામાં હથિયાર અને હેરોઈનનાં કન્સાઈનમેન્ટને પંજાબમાં મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે.