આણંદના રામપુરા-ભાલેજ-રતનપુરા રોડ નજીક અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
આણંદ જિલ્લાના રામપુરા ભાલેજ રતનપુરા રોડ નજીક રવિવારે સવારના સમયે અજાણ્યા વાહનની ટકકરે રોડ ઉપરથી પસાર થતા યુવકનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના દાગજીપુરા-રામપુરા-ભાલેજ-રતનપુરા રોડની બાજુમાં રમેશભાઈની દુકાન નજીક રોડ ઉપરથી રવિવાર સવારના છ વાગ્યાના સમયે ફરિયાદી કેતનભાઇ ચંદુભાઈ ઠાકોરના મોટાભાઈ શૈલેષભાઈ ચાલતા રોડ પરથી પસાર થતા હતા તે સમયે ભાલેજ તરફથી આવી ચઢેલા અજાણ્યા વાહન ચાલકે શૈલેષભાઈ ને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પકડાયા હતા.આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા શૈલેષભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન સાડા અગિયાર વાગ્યાના સમયે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ કેતનભાઇ ચંદુભાઈ ઠાકોરે ભાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.