ચારધામ યાત્રા પર કુદરતી આફતની આગાહીનો ઓછાયો - ટુર ઓપરેટરને પેકેજ રદ કરવાના ફોન વધ્યા

તુર્કીયે-સીરિયામાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 47 હજારથી વધુ લોકોનાં મોત થયા છે. એવામાં હવે ભારતમાં ઉત્તરાખંડમાં પણ તુર્કીયે જેવો ભૂકંપ આવી શકે છે તેવી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. આ આગાહીને પગલે ચારધામમાં જતા યાત્રાળુ કે પ્રવાસીઓ અવઢવમાં પડી ગયા છે. કચ્છમાંથી દર વર્ષે અંદાજે 25 હજારથી વધુ લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. છેલ્લા થોડા વર્ષોથી કેદારનાથ ટ્રેકિંગનું આકર્ષણ વધતા યુવાનોની ઉત્તરાખંડ જવાની સંખ્યા વધી છે.
ગઈકાલે સવારથી ચારધામ યાત્રા પર આવનારાઓ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કે, હાલમાં ચારધામ યાત્રા હેઠળ માત્ર કેદારનાથ અને બદ્રીનાથ ધામ માટે જ નોંધણી કરવામાં આવી રહી છે. અન્ય બે ધામ, ગંગોત્રી અને યમુનોત્રીની નોંધણી હવે શરૂ કરવામાં આવશે. ડૉ. એન. પૂર્ણચંદ્ર રાવે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે, 'ઉત્તરાખંડ પ્રદેશમાં સપાટીની નીચે ઘણું ઘર્ષણ ઊભું થઈ રહ્યું છે અને આ ઘર્ષણને દૂર કરવા માટે ભૂકંપ આવે તો કોઇ નવાઇ નહીં. આ સમાચારને પગલે ટ્રેન અને ફ્લાઇટનું બુકિંગ કરાવનાર વર્ગ હાલ ઉતરાખંડનું આયોજન કરવું કે નહીં તે વિચારમાં પડી ગયો છે. બાલાજી ટ્રાવેલ્સના સંજયભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે મોટેભાગે લોકો ઉતરાખંડનું પ્લાનિંગ કરે ત્યારે આવી શક્યતાઓને ધ્યાને રાખીને જ જતા હોય છે.
ખાનગી કારમાં જનાર લોકો રજીસ્ટ્રેશન કરાવી લે છે તો ટ્રેન અને ફ્લાઇટનું બુકિંગ પણ બે મહિના અગાઉ શરૂ થઈ ગયું છે. હા, એટલું ખરું કે યાત્રાએ જનાર વર્ગમાં 25 થી 30 ટકાનો કાપ આવી શકે. એક દાયકાથી નિયમિત દર વર્ષે ચારધામની યાત્રાનું આયોજન કરતા આશાપુરા ટ્રાવેલ્સના ટુર ઓપરેટર જણાવે છે કે, કેદારનાથ અને બદ્રીનાથ જવા માટેની સંખ્યા ઘણી હોય છે હાલ અમદાવાદથી હરિદ્વાર જતી બધી જ ટ્રેન પેક થઈ ગઈ છે. અમદાવાદ થી દિલ્હીની ટિકિટ મળે છે. જો કે, બુકિંગ કરાવીને હવે જવું કે નહીં અથવા તો બુકિંગ કેન્સલ કરવા માટેના ફોન શરૂ થઈ ગયા છે.
અખાત્રીજથી શરૂ થાય છે ચારધામ યાત્રા
વર્ષોની પરંપરા મુજબ અક્ષય તૃતીયાએ સાવધાન યાત્રા શરૂ થાય છે. બદ્રીનાથ અને કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે. બદ્રીનાથના દરવાજા 27 એપ્રિલે અને કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે ખુલશે, જ્યારે પરંપરા મુજબ અક્ષય તૃતીયાના દિવસે 22 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલશે. જો કે, દરવાજા ખોલવાનો સમય અને તારીખ મંદિર સમિતિઓ દ્વારા જાહેર કરાશે.