ચોરવાડના નારણભાઈ પાસે નાણાં ફસાયા છે,પુત્ર રાજેશને પણ જાણ

વેરાવળમાં તબીબની આત્મહત્યાનો ચકચારી બનાવ બન્યા બાદ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.આ અંગે ઇન્ચાર્જ ડીવાયએસપી એમ.યુ. મસીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે, રવિવારે ડોક્ટરની પ્રેક્ટિસ ઓછી હોઈ છે એટલે 10 વાગ્યે પોતાના દર્દીઓને ચેકઅપ કરવા આવતા હોઈ છે ત્યારે ડો.અતુલ ચગ નીચે ન આવતા તેમના સ્ટાફે તેમને કોલ કર્યા હતા.
ડોક્ટર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા
તેઓએ રિસીવ ન કરતા ઉપર જતા જોયું તો દરવાજો બંધ હતો અને તપાસ કરતા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરતા સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તેમના પુત્ર હિતાર્થના આવ્યા બાદ અકસ્માત દાખલ કરવામાં આવ્યું અને તેમનું પી.એમ.કરતા સ્પષ્ટ થયું હતું કે, પોતાના મફલરથી જ તેઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. શહેરના પ્રતિષ્ઠ વ્યક્તિ હોવાથી તેમના સંબંધો પણ બધા સાથે હતા. સ્યૂસાઇડ નોટમાં કોઈ સ્પષ્ટ કારણ નથી અને તેમણે જ લખી છે કે કેમ તે બાબતે પણ અમો તપાસ કરી રહ્યા છીએ અને મોબાઈલ સહિતની વસ્તુઓ અમે એફએસએલ ખાતે મોકલી છે.
આત્મહત્યાનું કારણ નાણાકીય વ્યવહારો હોવાનું જાણવા મળ્યું
આ બનાવમાં નાણાકીય વ્યવહારો હોવાનું જાણવા મળ્યું છે પરંતુ કઈ જાતના નાણાકીય વ્યવહાર હતા તે બાબતે પણ અમો તપાસ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, સ્યૂસાઈડ નોટમાં જે નામ છે તે સાંસદને ભળતું નામ હોઈ, તેથી તે છે કે તે સિવાય અન્ય કોઈ વ્યક્તિ છે તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ વિગતો ખબર પડશે. જ્યારે ડો.ચગના સારા તબીબ મિત્ર જલ્પન રૂપાપરાએ સોશિયલ મીડિયામાં એક પીડીએફ ફાઇલ પોસ્ટ કરી હતી.
પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો
જે ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેને રાજકીય આગેવાનો પર અંગુલી નિર્દેશ કર્યો છે અને જણાવ્યું છે કે, સાતથી આઠ માસ પહેલા તબીબ તેમને મળેલા ત્યારે મારી પરસેવાની કમાણી છે તે આ ચોરવાડના નારણભાઇ ચુડાસમાને આપી છે પણ તેઓ આપતા નથી આ વાતની તેમના પુત્ર રાજેશ ચુડાસમાને પણ જાણ છે છતાં રાજકીય પીઠબળના કારણે તેઓને હવે મારા પૈસા આપવાની દાનત લાગતી નથી તેવું લાગે છે.
કોરોનાકાળમાં તેમને આપેલી સેવાની નોંધ લેવાઈ
ત્યારે વેરાવળના ગરીબ દર્દીઓ માટે ભગવાન સ્વરૂપ અને કોરોનાકાળમાં તેમને આપેલી સેવાની નોંધ લેવાઈ હતી. તબીબને કોઈ કારણોસર પગલું ભરવું પડે તે ખૂબજ દુઃખદ છે. દોષિતોને તાત્કાલિક અસરથી પકડવામાં આવે તેવી માંગ સાથે આજે પ્રાંત અધિકારીને લોહાણા સમાજ દ્વારા આવેદન આપવામાં આવશે.
પરિવારના સભ્યોએ આર્થિક કારણ નકાર્યું
આત્મહત્યા પાછળ આર્થિક કારણને તબીબના પરિવારજનોએ નકાર્યું હતું.તેમના બહેન રીટાબેને તેમ પણ જણાવ્યું હતું કે, તેઓએ જીવનમાં અનેકવાર આર્થિક ઉતાર-ચડાવ જોયા છે જેથી આર્થિક કારણોસર આત્મહત્યા જેવું મારો ભાઈ પગલું ન ભરી શકે.
અમને ન્યાય આપો
મૃતદેહને અંતિમસંસ્કાર માટે તૈયાર કરતી વખતે પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.ભત્રીજી ધ્વનિબેન ચગએ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈને હાથ જોડીને તબીબ નામ લખતા ગયા છે ત્યારે તેના પર કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. અમારા કુટુંબને તમારાથી આશા છે. રાજેશભાઇ ચુડાસમા અને નારણભાઇ ચુડાસમાનો ઉલ્લેખ કરી તેમની સામે પગલાં લેવા માંગ કરી હતી.તબીબના બહેન રીટાબેન માણેકે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, સમાજના લોકો હવે તો જાગી જાવ, અમને ન્યાય અપાવો, અમારા કુટુંબને ન્યાય અપાવો. જેને આ કર્યું છે તેમનું કદીયે સારું નહિ થાય.