મોરબી પાલિકાએ પુલ હોનારત માટે ચીફ ઓફિસર, ઓરેવાને જવાબદાર ઠેરવ્યા

મોરબી નગરપાલિકાની સુપરસિડ શા માટે ન કરવી તેના જવાબમાં પાલિકાના હોદેદારોએ દોષનો ટોપલો બીજા પર ઢોળી દઈ સરકારને જવાબ રજૂ કર્યો હતો કે, મોરબીના ઝૂલતા પૂલની દુર્ઘટનામાં અમારી કોઈ જવાબદારી નથી. આ માટે ચીફ ઓફિસર અને ઓરેવાના સંચાલકો જવાબદાર છે.
બીજી તરફ હાઇકોર્ટે પણ ઘટનામાં સરકારને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ પણ હજુ સરકાર જાણે ખાનાપૂર્તિ કરી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં આપેલી ખાતરી બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાને સુપરસીડ કેમ ન કરવી તે અંગેનો જવાબ આપવા પાલિકાને 2 નોટિસ ફટકારી હતી.
જેમાં પ્રથમ નોટિસનો જવાબમાં પાલિકાએ પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાનું જણાવી ડોક્યુમેન્ટ આપવા માગણી કરી હતી. જે બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા સીટ દ્વારા કરવામાં આવેલ તપાસનો રિપોર્ટ સોંપી 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવા તાકીદ કરાઇ હતી, જે બાદ આજે જવાબ રજૂ કરવા પાલિકા પ્રમુખની અધ્યક્ષ સ્થાને ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં અલગ અલગ બે પ્રકારના જવાબ રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ જવાબમાં પાલિકા પ્રમુખે તમામ 52 સભ્ય વતી પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝૂલતા પુલનું મેનેજમેન્ટ ઓરેવા ગ્રૂપને સોંપવા થયેલા એગ્રીમેન્ટમાં સહી કરનાર ઓરેવા ગ્રૂપ અને પાલિકાના ચીફ ઓફિસરની સહી છે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેન દ્વારા એગ્રીમેન્ટ બાદ થયેલ રોજકામમાં સહી કરી છે.
અને જનરલ બોર્ડમાં મંજૂરીની અપેક્ષાએ ઝૂલતો પુલ ઓરેવા ગ્રૂપને સોંપવાનો એગ્રીમેન્ટ કર્યો હતો. જનરલ બોર્ડમાં આ અંગે ઠરાવ કરી કોઈ મંજૂરી આપી નથી જેથી પાલિકાના ચૂંટાયેલ સભ્ય પૈકી એક પણ આ ઘટના માટે જવાબદાર ન હોવાનો જવાબ રજૂ કર્યો હતો.
બીજી તરફ પાલિકાના 52માંથી 41 સભ્યે પોતાની રીતે એક જવાબ તૈયાર કર્યો હતો અને તેમાં આ એગ્રીમેન્ટ બાબતે તેમજ ઝૂલતા પુલ ઓરેવા ગ્રૂપને સોંપવા મુદ્દે કશું જ જાણતા ન હોવાનું જણાવી 41 સભ્ય પણ નિર્દોષ છે તેમ કહ્યું છે.
અગાઉની જનરલ બોર્ડના મુદ્દાને બહાલી તો અમુક પેન્ડિંગ
જનરલ બોર્ડમાં 28 માર્ચ, 2022ના રોજ બોલાવેલ જનરલ બોર્ડને બોર્ડે બહાલી આપી ન હતી, પણ 41 વિરુદ્ધ 7 મતથી પેન્ડિંગ રાખવામાં આવ્યું હતું. જ્યારે ગત 23 જાન્યુઆરીના રોજ શહેરી વિકાસ વિભાગને જવાબ આપવા માટે બોલાવેલ સાધારણ સભામાં દસ્તાવેજ પૂરા પાડવામાં આવે તેવો ઠરાવ કર્યો હતો. જેને બહાલી અપાઈ હતી.