આસામમાં લગ્નો ટળ્યાં, દસ્તાવેજોમાં વય સુધારા માટે લોકોની ભાગદોડ

આસામમાં બાળલગ્નની સામે અભિયાનમાં ધરપકડનો દોર પાંચમા દિવસે પણ જારી રહ્યો છે. 4074 એફઆઇઆરને લઇને આશરે અઢી હજાર લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અભિયાનની સામે હિંસક દેખાવો કરવામાં આવી રહ્યા હોવા છતાં રાજ્ય સરકાર કઠોર વલણ અપનાવી રહી છે. દરમિયાન દહેશતમાં આવેલા લોકો પોતાનાં બાળકોનાં સૂચિત લગ્નોને ટાળી રહ્યાં છે. સંબંધીઓને લગ્ન ટાળવાની સૂચનાઓ આપી દીધી છે.
બદનામીના ભયથી લગ્ન ટાળનાર લોકો પોતાનાં નામ તો જણાવી રહ્યાં નથી, પરંતુ લગ્ન સ્થળો અને હોટલો જેવાં સ્થળોથી બુકિંગ રદ થવાના અહેવાલ આવી રહ્યા છે. ગુવાહાટીમાં ચાર જગ્યાએ બુકિંગ રદ થવાના સમાચાર આવી ચૂક્યા છે.
એક યુવતી રેશ્મા ( નામ બદલ્યું છે)એ કહ્યું છે કે, તેમના કહેવા પર પરિવારના સભ્યોએ લગ્ન ટાળી દીધાં છે કારણ કે દસ્તાવેજો મુજબ 18 વર્ષ પૂર્ણ થવામાં એક મહિનાનો સમય બાકી છે. આ તો માત્ર એક દાખલો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારથી લગ્નોને ટાળવાના કિસ્સા સપાટી પર આવી રહ્યા છે. આની સાથે એક મોટા વર્ગના લોકો દસ્તાવેજોમાં તારીખ, નામ જેવી બાબતોને સુધારવા માટે ભારે ભાગદોડ કરી રહ્યા છે.
ધરપકડ કરાયેલાઓની સંખ્યા વધી, સ્ટેડિયમને જેલમાં ફેરવી દેવાની ફરજ
આસામ પોલીસના વરિષ્ઠ અધિકારીના કહેવા મુજબ કેટલાક જિલ્લામાં જેલમાં ક્ષમતા કરતાં વધારે કેદીઓ છે. જેના કારણે કાચા કામના કેદીઓને અલગ રાખવા માટે અસ્થાયી વ્યવસ્થા કરાઇ છે. આશરે 3000 કેદીઓની ક્ષમતાવાળા માટિયા ટ્રાન્જિટ કેમ્પ ઉપરાંત સિલચરના સ્ટેડિયમનો ઉપયોગ હાલમાં જેલ તરીકે કરવાની તૈયારી છે.
ખામીવાળા દસ્તાવેજોથી લાભ લેવામાં આવ્યા છે : પોલીસ
દક્ષિણ શાલમારાની એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, મોટા ભાગનાં બાળલગ્નના કિસ્સા અંગે માહિતી સ્થાનિક આરોગ્ય કાર્યકરો પાસેથી એકત્રિત કરાઇ છે. લોકોએ તેમને પોતાના આધારકાર્ડ આપ્યાં જેમાં જન્મતારીખ અને અન્ય ખામી રહેલી છે. ખોટી ધરપકડના સંબંધમાં પોલીસ અધિકારીએ કહ્યું છે કે લોકો સરકારી યોજનાઓના લાભ લેવા માટે આ દસ્તાવેજોનો ઉપયોગ કરી રહ્યા છે. દસ્તાવેજો બન્યા બાદ સુધારા કેમ કરાવાયા નથી.
સગર્ભાઓમાં 17 ટકા સગીર
મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમાએ કહ્યું છે કે રાજ્યમાં ગયા વર્ષે 620867 મહિલાઓ સગર્ભા થઇ હતી. તે પૈકી 19 વર્ષ અથવા તો તેનાથી નાની વયની 104264 એટલે કે 17 ટકા સગીરા સગર્ભા હોવાની વિગત સપાટીએ આવી હતી.