જૂનાગઢને નંદીમુક્ત કરવાની મનપાને ઇચ્છા નથી

જૂનાગઢ શહેરમાં ખુંટિયાનો ત્રાસ સતત વધી રહ્યો છે ત્યારે જૂનાગઢની સેવાભાવી સંસ્થાએ 9 એકર જમીન ભાડાપટ્ટે માંગી છે. જો આ જમીન અપાય તો ખુંટિયાને સાચવવાની તૈયારી બતાવી છે. જોકે, જૂનાગઢને નંદી મુક્ત કરવાની જાણે મનપાની ઇચ્છા શક્તિ જ ન હોય તેમ જમીન આપવાની ફાઇલ હજુ પ્રોસીઝરમાં અટવાઇ છે. આ અંગે ઝાંઝરડા સ્થિત નંદરાયજી ગૌશાળાના મહેન્દ્રભાઇ લાડાણીએ જણાવ્યું હતું કે, મે મનપા પાસે 9 એકર જમીન ભાડાપટ્ટે માંગી છે. આ જમીન ઝાંઝરડા ગામ પછીની સરકારી ખરાબાની જમીન છે.
આ જમીનમાં અગાઉ દિપચંદ ગાર્ડી મેડીકલ કોલેજ બનાવવાના હતાં. હવે આ જમીન પડતર છે. મેડીકલ કોલેજ માટે આ જમીન ગૌચરમાંથી શ્રી સરકાર થઇ હતી. હવે ફરી શ્રી સરકારમાંથી ગૌચરમાં ફેરવીને આપે તો જૂનાગઢના તમામ રખડતા ખુંટિયાને અહિં સાચવી લઉં. જોકે, આ માટેની ફાઇલ સરકારમાં રજૂ કરી છે. હાલ વિધાનસભાનું સત્ર ચાલતું હોય ફાઇલની પ્રોસીઝર થઇ નથી. ત્યારે જો જમીન ભાડાપટ્ટે ફાળવાઇ તો જૂનાગઢ શહેરને ખુંટિયાથી મુક્તિ મળી શકે તેમ છે.
પાંચ મિટીંગો થઇ
રખડતા પશુને પકડી પાડવા કોર્ટના દબાણ બાદ વહિવટી તંત્રએ પાંચ મિટીંગ તમામ ગૌશાળાના સંચાલકો સાથે કરી અને દરેક ગૌશાળાને 5-5 નંદી સાચવવા કહ્યું. તમામે ના પાડી દીધી કે અમારા વિસ્તારમાં પણ ખુંટિયા રખડે છે. તેને સાચવવા કે તમે આપો તે સાચવવા? ખુદ મનપાની 4 ગૌશાળામાં પણ નઘણિયાત રેઢિયાળ પશુ જ છે.
નંદીને પકડવા પહોંચાડવાની જવાબદારી મનપાની
જૂનાગઢમાં રખડતા-ભટકતા નંદીને પકડો, ટેગ મારીને પહોંચાડવાની જવાબદારી મનપાની રહેશે. અમે માત્ર તેનો નિભાવ કરી આપીશું. પકડી પાડવાની જવાબદારી અમારી રહેશે નહિ. ટેગ મારવા ફરજિયાત છે. કારણકે ટેગ હોય તો જ ગ્રાન્ટ મળે.
10 કરોડનો ખર્ચ થાય
માનીલોકે મનપા જગ્યા આપે તો પણ ત્યાં શેડ બનાવવા, અવેડા બનાવવા, ગોડાઉન બનાવવા, ગોવાળિયાને રાખવા, ગમાણો બનાવવા, વાહનો વસાવવા, લાઇટ બિલ વગેરે અંદાજે 10 કરોડનો ખર્ચ કરવો પડે તેમ છે.
સરકાર 30 રૂા. આપે ખર્ચ 100 નો થાય
સરકારની યોજના મુજબ પશુ માટે દરરોજના 30 રૂપિયા ચૂકવાય છે. સામે ખર્ચ 100નો થાય છે. તેમ છતાં નંદીઓને સાચવવા તૈયારી છીએ. બાકીના ઘટતા 70 રૂપિયા દાતા પાસેથી મેળવી લેવાશે. વળી રખડતા -ભટકતા પશુ-ગાયોને ન રાખીએ. કારણકે ગાયો અને ખુંટિયા બંને સાથે રહી જ ન શકે.