પુજારા ટેલિકોમમાં મેનેજરે 18 મોબાઇલ,સ્માર્ટ વોચ અને રોકડ સહિત રૂ.11.65 લાખની મતા છેતરપિંડી આચરી

રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં ટેલિકોમ ક્ષેત્રે આગવું નામ ધરાવતી પુજારા ટેલિકોમની હુડકો બ્રાન્ચના મેનેજર મનોજ ચૌહાણએ 18 મોબાઇલ,સ્માર્ટ વોચ,ચાર્જર મળીને કુલ 5.50 લાખનો મુદ્દામાલ અને બ્રાંન્ચના 6.15 લાખ રોકડ લઇને ફરાર થઇ જતા ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મેનેજર સાત વર્ષ જૂનો કર્મચારી
પુજારા ટેલીકોમમાં ઝોન સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા મયુર જાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી પુજારા ટેલીકોમની કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી સામે આવેલ બ્રાન્ચમાં છેલ્લા ત્રણ વર્ષથી મેનેજર તરીકે મનોજ નીતીનભાઇ ચૌહાણ છે જેઓ છેલ્લા સાત વર્ષથી પુજારા ટેલીકોમમાં નોકરી કરે છે.મેનેજર મનોજે કુલ 18 મોબાઇલ તથા 1 હેન્ડ ફ્રી તથા એક એપલનુ ચાર્જર તથા એક સ્માર્ટ વોચ જેની કુલ કી.રૂ આશરે 5.50 લાખ ગણાય તથા બ્રાન્ચના હિસાબની 6.15 જેટલી રકમ જમા નહી કરાવી કુલ રુપીયા 11.65 લાખનો વિશ્વાસધાત કરી છેતરપિંડી કરી રકમ ઓળવી જઇ ગુન્હો કરેલ હોય જેથી મનોજ નીતીનભાઇ ચૌહાણ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મારી ફરીયાદ છે. જેથી ભક્તિનગર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રોડ ક્રોસ બાળકને કારે અડફેટે લીધો, સારવારમાં દમ તોડ્યો
પોરબંદરના બખરલા ગામની સીમમાં રહેતા મુળ મધ્યપ્રદેશનાં રાકેશભાઈ બામાણી તેની પત્નિ, અને બે પુત્ર અને પુત્રી સાથે વતનમાં ગયેલ હતા. જયાંથી તેઓ ગઇકાલે પરત ફર્યા હતા અને બખરલા ગામ પાસે ઉતર્યા હતા. તેઓ પરિવાર સાથે રોડ ક્રોસ કરતાં હતા ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહનના ચાલકે તેના પાંચ વર્ષના પુત્ર વિકાસને અડફેટે લેતા ફૂટબોલના દડાની માફક ફંગોળાયો હતો. જેમાં બાળકને માથામાં ગંભીર ઈજા થતાં પ્રથમ પોરબંદર અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નિપજયુ હતું.
ગ્રીનલેન્ડ ચોકડી પાસે બાઇક સ્લીપ થતા વૃદ્ધનું મોત
રાણાવાવના ઓડદર ગામમાં રહેતા બોઘાભાઈ દેવાયતભાઈ મકવાણા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગઈ તા. 14 ડિસેમ્બરના રોજ પોતાના ગામેથી રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી પાસે તેઓએ મિત્ર સાથે ચા પીધા બાદ ત્યાંથી ખરેડી ગામ જવા પોતાનું બાઇક લઈ નીકળ્યા હતા. રાજકોટથી મિત્રને સાથે લઈ બાઇકમાં જતા હતા ત્યારે બાઇક ડિવાઇડર સાથે ઘસડાઈને સ્લીપ થઈ રસ્તા પર પટકાતા બોઘાભાઈને માથે અને શરીરે ગંભીર ઇજા થતાં તેઓને સારવાર માટે રાજકોટની ખાનગી બાદ પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આ બોઘાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેઓને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે પત્ની દેવીબેનનું છ મહિના પહેલા અવસાન થયુ હતું. માતા બાદ પિતા પણ ગુમાવતા ત્રણેય દીકરીઓ નોંધારી બની ગઈ છે. આ અંગે હાલ બી ડિવિઝન પોલીસે મૃતકના ભત્રીજા અમરાભાઈ મકવાણાની ફરિયાદ પરથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરા સિવિલમાં દાખલ થઇ, તબીબના નિદાનમાં બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું
શાપરમાં કારખાનામાં કામ કરતી 17 વર્ષની સગીર પરપ્રાંતીય પરિણીતાને ગુપ્તાંગમાં લોહી વહેતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હિસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીને બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. પરપ્રાંતીય પરિણીતાની ઉમર નાની હોવાથી તબીબે રિટ્રોગેટ એમએલસી દાખલ કરાવ્યું હતું. આ અંગે શાપર પોલીસે નોંધ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.