છૂટા કરાયેલા ભારતીય IT સ્ટાફને US સૈન્ય-ઇન્ટેલિજન્સમાં નોકરી

અમેરિકામાં મલ્ટિનેશનલ કંપનીઓ જેવી કે માઇક્રોસોફ્ટ, મેટા, એમેઝોન અને ટિ્વટરમાંથી આશરે 70 હજાર ભારતીય ટેક્નોક્રેટ્સની છટણી થઇ છે. તેમાં મોટા ભાગના ભારતીય છે, જે અમેરિકામાં એચ-1બી અને એલ1 વિઝા પર અમેરિકામાં રહે છે. જો 60 દિવસમાં તેમને બીજી નોકરી નહીં મળે તો તેમણે અમેરિકામાંથી જતું રહેવું પડશે.
આ દરમિયાન અમેરિકન સુરક્ષા મંત્રાલય અને ઇન્ટેલિજન્સે છટણીનો શિકાર થયેલા ટેક્નોક્રેટ્સને નોકરી આપવાની યોજના ઘડી છે. આ માટે એચ-1 વિઝા કેટેગરી પણ બનાવાઇ છે. તે અંતર્ગત છટણીનો શિકાર ભારતીયોને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે.
અમેરિકામાં અત્યાર સુધી સુરક્ષા મંત્રાલયમાં અમેરિકન નાગરિકો અને ગ્રીનકાર્ડ હોલ્ડરને જ નોકરી અપાતી. આવું પહેલીવાર છે કે એચ1 વિઝા કેટેગરી ધરાવતા ઉમેદવારોને સુરક્ષા મંત્રાલયમાં કામ કરવા યોજના તૈયાર કરાઇ હોય. સાઈબર સિક્યોરિટીના ડિરેક્ટર રોબ જોયસનું કહેવું છે કે છટણીનો ભોગ બનેલા કર્મીઓનો, ખાસ કરીને ભારતીય ટેલેન્ટનો, સારો ઉપયોગ થઇ શકે છે.
ત્રણ કારણ... અમેરિકાએ આ પગલું કેમ લીધું
1. ચીનનો પડકારઃ ચીન સાઈબર ઇન્ટેલિજન્સ, ડિફેન્સ ઉપકરણોના ઉત્પાદનમાં અમેરિકાને પડકારી રહ્યું છે. અમેરિકન સુરક્ષા મંત્રાલયમાં ટેક્નોક્રેટ્સના 30% હોદ્દા ખાલી છે. બાઇડેન સરકારની નીતિ છટણી કરાયેલા યુવાનોને ભરતી કરવાની છે.
2. ટેક્નોક્રેટ્સની અછતઃ અમેરિકન એજ્યુકેશન સિસ્ટમમાં અભ્યાસ કરનારા 65% વિદ્યાર્થી ડિગ્રી કોર્સ નથી કરતા એટલે સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ) ટેક્નોક્રેટ્સની અછત છે. અમેરિકામાં 75% ભારતીય પાસે આ ક્ષેત્રોની જ ડિગ્રી છે.
3. યુક્રેન યુદ્ધમાંથી બોધપાઠઃ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સુરક્ષા અને સાઈબર વૉરની દિશામાં નવા બોધપાઠ મળ્યા છે. અમેરિકાએ ફ્યૂચર વૉરફેરની તૈયારી કરવાની છે, જેના માટે તેમને ટેક્નોક્રેટ્સ જોઇએ છે.
ભારત-અમેરિકા આઇસીઇટી કરારની પણ અસરઃ ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં જ થયેલા ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (આઇસીઇટી)ની પણ અસર છે. તે અમેરિકન સુરક્ષા મંત્રાલયે ભારતીય ટેક્નોક્રેટ્સ માટે દ્વાર ખોલ્યાં છે.