કચ્છના નાના રણમાં 18 કલાકથી ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યૂ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી ચાર મોટર સાયકલ લઈને કચ્છના નાના રણમાં વાછરાડાડાના મંદિરે દર્શને કરવા નીકળેલા 9 યુવકો અને તેમની મદદે ગયેલા 3 પરિવારજનો સહિત 12 લોકો ફસાઈ જતા પોલીસે ટ્રેકટરની મદદથી તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. રણમાં 12 લોકો ફસાયા હોવાની પાટડી પોલીસને કંટ્રોલ રૂમ મારફત જાણ થતા પોલીસકર્મીઓ થાર લઈને રેસ્ક્યૂ માટે નીકળ્યા હતા. પરંતુ, વરસાદના કારણે રણમાં કાદવ થઈ ગયો હોય થાર પણ ખૂંપી ગઈ હતી. અંતે ટ્રેકટરની મદદથી ફસાયેલા 12 લોકો, તેના મોટરસાયકલ અને થારને બહાર કાઢવામાં આવી હતી. 20 થી 25 કિલોમીટર સુધી ચાલીને થાકી ગયેલા યુવકો રણમાં જ ઊંઘી ગયા હતા. 9 યુવકોને 15 કલાકે પાણી પીવા મળ્યું હતું. રણમાં ફસાયેલા યુવકો અને તેના રેસ્ક્યૂ ઓપરેશનના દિલધડક દ્રશ્યો હવે સામે આવ્યા છે.
પાટડીના નવ મિત્રો 16 ઓગસ્ટે બપોરે બે વાગ્યે ચાર બાઈક લઈને પાટડીથી ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક વાછડાદાદાની જગ્યાએ દર્શન કરવા નીકળ્યા હતા.રણમાં વાછડાદાદાની જગ્યા માત્ર 10 કિમી દૂર હતી અને વરસાદ વરસવાનો શરુ થયો હતો.બાદમાં મુશળધાર વરસાદ શરુ થતાં આ નવેય મિત્રો ચાર બાઈક સાથે રણમાં અટવાયા હતા.બાદમાં આ નવેય મિત્રોએ કાદવમાં બાઈકને માંડ બેથી ત્રણ કિમી દોરીને લઇ જતા થાકી ગયા હતા.બાદમાં દિશાભ્રમ થતાં રણમાં રસ્તો ભૂલી ગયા હતા.ભૂખ અને તરસને કારણે એમની હાલત કફોડી બની ગઈ હતી.