કર્ણાટક : ભાજપની વિજય સંકલ્પ યાત્રા શરૂ, ચારે દિશામાં પહોંચશે

કર્ણાટકમાં એપ્રિલ-મેમાં સંભવિત રીતે યોજાનાર વિધાનસભા ચૂંટણીથી પહેલાં સત્તારૂઢ ભાજપે ચૂંટણીપ્રચારને તીવ્ર કરીને રાજકીય ગરમી જગાવી છે. આના ભાગરૂપે બુધવારે પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચામરાજનગરમાં વિજય સંકલ્પ યાત્રાને રવાના કરાવી હતી. ભાજપ આ પ્રકારની યાત્રાઓ પ્રદેશભરમાં યોજશે, જે 20 દિવસ સુધી ચાલશે. હવે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ બીજી માર્ચે બેલગાવી જિલ્લાના નંદાગઢથી યાત્રાને રવાના કરશે. ગૃહમંત્રી અમિત શાહ ત્રીજી -ચોથી માર્ચે ચોથી યાત્રાની શરૂઆત બીદર જિલ્લાનાં બસવકલ્યાણ અને દેવનહલ્લીનાં અવાથીથી કરાવશે.
દેશમાં 27 જનજાતિ શોધ કેન્દ્ર ખૂલશે : ભાજપ અધ્યક્ષ
નડ્ડાએ કહ્યું છે કે સરકારે આદિવાસીઓ માટેના બજેટમાં 190 ટકાનો વધારો કર્યો છે. આદિવાસીઓના વિકાસનાં કાર્યોને દર્શાવવા માટે 27 જનજાતિ શોધ કેન્દ્રો ખોલવામાં આવશે. કેન્દ્ર સરકારની યોજના 36 હજાર આદિવાસી ગામોને આદર્શ ગામોમાં ફેરવી દેવાની છે.
કોંગ્રેસ અને જેડીએસની યાત્રાઓ પહેલાથી જ જારી
માનવામાં આવે છે કે, કોંગ્રેસની પ્રજાધ્વનિ યાત્રાને જવાબ આપવા માટે ભાજપ દ્વારા યાત્રાઓ યોજવામાં આવી રહી છે. કોંગ્રેસ દ્વારા આની શરૂઆત ત્રીજી ફેબ્રુઆરીએ જ બિદર જિલ્લાના બસવકલ્યાણથી કરવામાં આવી ચૂકી છે.
જેડીએસ નેતા અને પૂર્વ સીએમ એચ.ડી. કુમારસ્વામી પણ પોતાની પંચરત્ન યાત્રા યોજી રહ્યા છે. આમ આદમી પાર્ટી પણ ચોથી માર્ચે દાવણગેરેમાં રેલી યોજશે, જેમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન પહોંચશે.