જેલમુક્તિ બાદ પી.ટી.જાડેજા રાજકોટ પહોંચ્યા

ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજા સામે થયેલી પાસાનો સરકાર દ્વારા હુકમ રદ કરાતા જેલમુક્ત કરવામાં આવ્યા હતા. આજે (15 જુલાઈ) સાંજે પી.ટી. જાડેજા રાજકોટ પહોંચતા નિવાસસ્થાન પર સ્વાગત કરાયું હતું. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે, મેં 18 દિવસથી ભોજન લીધું નથી એટલે મારું સ્વાસ્થ્ય બરોબર નથી. આગામી 2-3 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ યોજીશ.
21 એપ્રિલના રોજ રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતીને લઈને રાજકોટના સાંઇનગર વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજા( પ્રવીણસિંહ ટપુભા જાડેજા)એ કારખાનેદાર જસ્મિનભાઇને ફોન કરીને ‘આરતી કરતો નહીં, નહીંતર લોહિયાળ ક્રાંતિ થશે,’ કહી ગાળો ભાંડી ધમકી આપી હતી. જે મામલે રાજકોટ પોલીસે 5 જુલાઈના પી. ટી. જાડેજાની પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલહવાલે કરી દીધા હતા. ત્યારબાદ ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પાસા રિવોક કરવાની માગ કરાઈ હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના આ હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો હતો.