પાટવેલમાં 406 કિમી દૂરથી આવેલી જાન પરત વળી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ ગામમાં બાળ કલ્યાણ સમિતિએ સગીર વયની કન્યાના લગ્ન રોકાવ્યા હતાં. કન્યાને પુખ્તવયની થવામાં માત્ર ચાર જ માસ ખુટતા હતાં. કન્યાની જાન 406 કિમી દૂરથી આવી રહી હતી. જોકે, કાર્યવાહીના પગલે તે કન્યાના ઘરથી 15 કિમી દૂરથી જ પાછી વળી ગઇ હતી. તેમજ કન્યાના માતા-પિતાની અટકાયત કરવામાં આવી હતી. સાથે કાર્યવાહી બાદ કન્યાને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી હતી.
કન્યાની જાન 406 કિમી દૂરથી આવી રહી હતી
પાટવેલ ગામમાં એક કન્યાના લગ્ન અમરેલીના બાબરા તાલુકાના બાબર ગામમાં નક્કી કરવામાં આવ્યા હતાં. કન્યાની સાસરી પાટવેલથી 406 કિમી દૂર હોવાથી જાન રાત્રે જ ત્યાંથી નીકળી ગઇ હતી. આ કન્યાની વય કાચી હોવાની જાણ થતાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન અને સુચનોથી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ પોલીસ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતાં. બાળ લગ્ન પ્રતિબંધક ટીમે સ્થળ પરથી કન્યાના પિતા અને માતા પાસેથી મેળવેલા પુરાવા ચકાસ્યા હતાં.
કાર્યવાહી બાદ કન્યાને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી
કન્યા 17 વર્ષ અને 8 માસની હોવાનું સામે આવ્યુ હતું.જેથી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ કન્યાનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. આ ઘટનાની જાણ થતાં આખા ગામમાં ખળભળાટ મચી ગયો હતો. સબંધિ અને લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.
સમજાવટ બાદ કન્યાને તેના પરિવારને સોંપવામાં આવી
જોકે, આ કાર્યવાહીની જાનૈયાઓને જાણ થઇ હતી ત્યારે 406 કિમી કાપીને આવેલી જાન પાટવેલથી 15 કિમી દૂર બલૈયા ગામેથી જ પાછી વળી ગઇ હતી.કન્યાને બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રભાઈ સોની સમક્ષ રજુ કરવાની તજવીજ પૂર્ણ કરવા સાથે જુવેનાઈઝ જસ્ટીસ એક્ટ 2015 સુધારા અધિનિયમ 2021 મુજબ સમજાવટ બાદ કન્યાને તેના પરિવારને સોંપવામાં આવી હતી.
જાગૃત નાગરિકનો ઇમેઇલ આવ્યો
22મી એપ્રિલે તારીખે અક્ષયતૃતિયાએ (અખાત્રીજ) ઘણા લગ્ન હોઇ તેમજ દાહોદ જીલ્લામાં હોળીના તહેવાર બાદ વઘારે પ્રમાણમાં લગ્નો યોજાતા હોઇ કોઇ દ્વારા બાળ લગ્ન ગોઠવાય તો જાણ કરવાની તંત્ર દ્વારા થોડા દિવસો પહેલાં જ જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે કોઇ જાગૃત નાગરિક દ્વારા બાળ સુરક્ષા સમિતિને ઇમેઇલ આવતાં આ બાબતની જાણ થઇ હતી.
મોડી રાત્રે પરિવારને સોંપી દીધી
પાટવેલ ગામની સગીર કન્યાના બાળ લગ્ન થવાના હતા તેનુ રેસ્કયુ કરી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરાઇ હતી. કન્યા અને પરિવાર સગીરા માનસિક રીતે ભાંગી ના પડે તે માટે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી મોડી રાત્રે સગીરાને તેના પરિવારને સોંપી દીધી છે. બાળ લગ્ન એક દૂષણ છે. તે નાબૂદ થાય તેવી તમામ નાગરિક મિત્રોને અનુરોધ કરું છું. - નરેન્દ્ર સોની , ચેરમેન, બાળ કલ્યાણ સમિતિ, દાહોદ