આ મહિનાના સુદ પક્ષની એકાદશીએ જ શ્રીકૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં ધનુર્ધારી અર્જુનને ગીતાનો ઉપદેશ સંભળાવ્યો હતો

માગશર મહિનાનું સુદ પક્ષ 24 નવેમ્બર, ગુરુવારથી શરૂ થઈ રહ્યું છે જે 8 ડિસેમ્બર સુધી રહેશે. તિથિઓની વધ-ઘટ ન થવાથી આ પખવાડિયું 15 દિવસનું રહેશે. આ 15 દિવસોમાં તિથિ-તહેવાર માટે 6 દિવસ રહેશે.
શ્રીકૃષ્ણનો પ્રિય મહિનો
માગશર મહિનો પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રોમાં તેને શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ કહેવામાં આવે છે. હિંદુ પંચાંગ પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ કુરૂક્ષેત્રના મેદાનમાં ધનુર્ધારી અર્જુનને ગીતાનો ઉપદેશ સંભળાવ્યો હતો.
ગીતાના એક શ્લોકમાં શ્રીકૃષ્ણ માગશર મહિનાનો મહિમા જણાવતાં કહે છે કે- ગાયન કરવા યોગ્ય શ્રૃતિઓમાં હું બૃહત્સામ, છંદોમાં ગાયત્રી અને મહિનામાં માગશર અને ઋતુઓમાં વસંત છું. શાસ્ત્રોમાં માગશરનું મહત્ત્વ જણાવતાં કહેવામાં આવ્યું છે કે હિંદુ પંચાંગના આ પવિત્ર મહિનામાં ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી રોગ, દોષ અને પરેશાનીઓથી મુક્તિ મળે છે.

માગશર મહિનાના સુદ પક્ષમાં આવતા તિથિ-તહેવાર
- 28 નવેમ્બર, સોમવારઃ આ દિવસે વિવાહ પંચમી છે. ત્રેતાયુગમાં આ તિથિએ શ્રીરામ અને સીતાના લગ્ન થયાં હતાં. આ દિવસે શ્રીરામ અને સીતાની ખાસ પૂજા કરો. રામાયણનો પાઠ કરો.
- 29 નવેમ્બર, મંગળવારઃ આ દિવસે ચંપા ષષ્ઠી વ્રત રહેશે. તેમાં ભગવાન શિવ અને કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે આ દિવસે કાર્તિકેય પૂજા કરવાથી પરેશાનીઓ દૂર થાય છે.
- 3 ડિસેમ્બર, શનિવારઃ આ દિવસે મોક્ષદા એકાદશી છે. આ દિવસે વ્રત સાથે શ્રીકૃષ્ણ અને ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે. સાથે જ, આ દિવસે ગીતા જયંતી પર્વ પણ ઊજવવામાં આવે છે. આ પર્વમાં નદીમાં સ્નાન કરવાથી અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.
- 5 ડિસેમ્બર, સોમવારઃ આ વર્ષનું છેલ્લું સોમ પ્રદોષ છે. સોમવારે તેરસ તિથિનો સંયોગ હોવાથી આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની ખાસ પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. આ વ્રત બધા જ દોષ દૂર કરે છે.
- 7 ડિસેમ્બર, બુધવારઃ આ દિવસે દત્તાત્રેય જયંતી છે. આ તિથિએ ઋષિ અત્રિ અને સતિ અનસૂયાના દીકરા દત્તાત્રેયનો જન્મ થયો હતો. ત્રિદેવોનો અંશ હોવાથી શૈવ અને વૈષ્ણવ બંને જ ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે.
- 8 ડિસેમ્બર, ગુરુવારઃ આ દિવસે માગશર મહિનાની પૂનમ તિથિ છે. આ તિથિએ સ્નાન-દાન અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે.