સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઐતિહાસિક દસ્તાવેજો, પ્રાચીન સિક્કાઓના પ્રદર્શનનો પ્રારંભ

રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઇતિહાસ ભવન અને રાજ્ય અભિલેખાગાર કચેરીના ઉપક્રમે આજે ઐતિહાસિક દસ્તાવેજો અને પ્રાચીન સિક્કાઓ પરના પ્રદર્શનનો આજે પ્રારંભ થયો હતો. જેમા કુલગુરુ ડૉ. ડોલરરાય માંકડના વર્ષ 1969 ના ઢાંકપ્રવાસ દરમીયાન પ્રાપ્ત થયેલી છઠ્ઠી સદીના વેણુગોપાલ, 16 મી સદીના વિષ્ણુ ની પ્રતિકૃતિ પણ સચવાયેલી છે તો 222 દેશી રજવાડાઓ ના સ્ટેમ્પ પણ ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઇતિહાસ ભવનનાં અઘ્યક્ષ ડૉ.કલ્પાબેન માણેક જણાવે છે કે, ઇતિહાસ ભવનનાં મ્યુઝિયમમાં અમૂલ્ય ઐતિહાસિક વારસો સચવાયેલો છે. રાજકોટ પાસેના શ્રીનાથગઢનું રોજડી અને મોરબી નું કુંતાસિ એ ગામ છે કે જ્યાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સચવાયેલા છે. સૌરાષ્ટ્રના પુરાતત્વશાસ્ત્રી વાય. એમ. ચિતલવાલાએ પોતે રસ લઈ ત્યાંથી મળેલા માટીના રમકડાં, ફ્રીઝ, તાવડીઓ, માટલા, કુંજા , પથ્થરના હથિયારો મળ્યા જે યુનિવર્સિટીના આ મ્યુઝીયમમાં સચવાયેલા છે.

ઇતિહાસ ભવનનાં આદ્ય અઘ્યક્ષ આર. જી. પરીખે ન્યુમિસમેટિક સોસાયટી ઓફ ઇન્ડિયાના સભ્ય સી. એમ. દેસાઈ પાસેથી ભારત અને હિન્દી રાજ્યોના સિક્કા ઓ ખરીદ્યા હતાં. જે ઇતિહાસ ભવનને ભેટ આપતા તે અમુલ્ય સિક્કાઓ પણ અહિં સચવાયેલા છે..

ઇતિહાસ ભવનનાં આ પ્રદર્શન નો આજથી પ્રારંભ થયો છે. લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખી આ પ્રદર્શન 28 મી જુલાઇથી ત્રણ દિવસ કાર્યરત રહેશે. જેથી કોઇ પણ વિદ્યાર્થી કે લોકો આ પ્રદર્શન નિહાળવા આવી શકશે.

રાજકોટ આર્કાઇઝ વિભાગની વડી કચેરી ગાંધીનગર માં છે જેના તાબા હેઠળ રાજકોટ, જામનગર, પોરબંદર અને વડોદરા કચેરી આવે છે. જ્યાં 222 દેશી રજવાડાઓ ના તમામ દસ્તાવેજો સચવાયેલા છે. ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યુ છે કે જ્યાંના આર્કાઈઝ વિભાગ ના 1800 થી 2023 સુધીના જે દસ્તાવેજો સચવાયેલા છે તે સંપૂર્ણ ડીજીટલાઈઝ થશે. જેથી લોકો પણ પોતાના ઐતિહાસીક વારસાને ઓનલાઇન જાણી શકે. અત્યાર સુધીમાં 80% એટલે કે 7 કરોડ 40 લાખ 632 પેઇજ ડિજિટલ થઈ ચુક્યા છે.