ઉપલેટા તાલુકામાં એક જ માસમાં 43 વીઘા ગૌચર પર 28 ભુમાફિયાનું દબાણ

ઉપલેટા તાલુકાના બે ગામમા ચાલુ માસે ગૌચરની જમીન ઉપર ભુમાફિયાઓ ગૌચરની જમીન ખાઈ ગયા છે. આ બંને ગામની 43 વીઘામાં ભુમાફિયાઓએ દબાણ કર્યું છે. જિલ્લામાં ભુમાફિયાઓ બેફામ બન્યા છે અને ગૌચરની જમીનમાં આડેધડ દબાણ કરી રહ્યા છે. ઉપલેટા તાલુકાના ત્રણ ગામમાં ગૌચરની 12 વીઘા જમીન ઉપર 5 ભુમાફિયાઓએ દબાણ કર્યું હતું.
જ્યારે છેલ્લા એક જ માસમાં માત્ર 2 ગામમાં જ 43 વીઘા ગૌચરની જમીન માફિયાઓ ચરી ગયા છે. ગામમાં ગૌચરની જમીન ઉપર દબાણ કે ગેરકાયદેસર બાંધકામ ન થાય તેની જવાબદારી ગ્રામપંચાયતની હોય છે. ગ્રામપંચાયત દ્વારા આવા દબાણકારોને નોટિસ મોકલવામાં આવતી હોય છે અને યોગ્ય આધાર પુરાવા માંગવામાં આવતા હોય છે. પરંતુ વર્ષોથી રાજકોટ જિલ્લાના ગામોમાં ગૌચરની જમીન ઉપર દબાણ છે તે દૂર કરવામાં અધિકારીઓ ડરી રહ્યા છે.
5 ગામમાં 33 ગૌચરની 59 વીઘા જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું જમીન દબાણ શાખામા નોંધાયું છે. ગોંડલ, જેતપુર, લોધિકા, ઉપલેટામાં ગૌચરની જમીન ઉપર મોટાપાયે ભુમાફિયાઓએ દબાણ કર્યું હોવાનું સરકારી ચોપડે જ નોંધાયું છે ત્યારે ખાનગી જમીન ઉપર કબજો-દબાણ કરનારાઓ ભુમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ રાજકોટ જિલ્લામાં મોટાપાયે ગૌચરની જમીન ઉપર દબાણ કરનારા ભુમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતા અધિકારીઓને ડર લાગી રહ્યો છે.