અમદાવાદમાં પણ JIC બનતા ભુજમાં ભારણ ઘટશે

પાકિસ્તાની કે બાંગ્લાદેશી વ્યક્તિઓ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા પકડાય અથવા તો પરદેશનો કોઈ વ્યક્તિ ભારતમાં ગેરકાયદે વિઝા અને પાસ પરમીટ વગર રહેતો હોય અને એજન્સીઓની તપાસમાં ઝડપાઇ જાય તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને પ્રતિબંધક તરીકે રાખવામાં આવે છે. તેઓને જેલમાં નહીં પણ ભુજમાં હરિપર રોડ પર જેઆઈસીમાં રાખવામાં આવે છે. રાજ્યમાં એકમાત્ર જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ભુજમાં છે જેમાં 35ની કેપીસિટી સામે હાલમાં સવાસો જેટલા કેદીઓ છે ત્યારે ગૃહ વિભાગે વધતા કેદીઓની સંખ્યાને ધ્યાને રાખી રાજ્યમાં બીજુ જેઆઇસી સેન્ટર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભુજ JIC અટકાયતીઓથી ભરચક
જે અમદાવાદના સરદારનગરમાં નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી ભુજ જેઆઈસીમાં ભારણ ઘટશે.આ બાબતે સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2014 માં ગુજરાતમાં બીજા સંયુક્ત પૂછપરછ કેન્દ્રની મંજૂરી આપવામાં આવી હતી, જે હાલે અમદાવાદ શહેરના સરદારનગરમાં બની રહ્યું છે. અંતિમચરણમાં બાંધકામ છે. ભુજ JIC અટકાયતીઓથી ભરચક છે, મોટાભાગે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને પાકિસ્તાની માછીમારો અને ઘૂસણખોરોને રાખવામાં આવ્યા છે.
ભુજ જેઆઈસીમાં ક્ષમતા કરતા ત્રણગણા વ્યક્તિઓ
જ્યાં સુધી તેઓને તેમના દેશમાં મોકલવામાં ન આવે ત્યાં સુધી જેઆઇસીમાં સંગ્રહ કરવામાં આવે છે. જોકે ક્ષમતા પૂર્ણ થઈ જતા છેક વર્ષ 2014માં કેન્દ્રમાં પ્રસ્તાવ મુકાયો હતો. અને ગ્રાન્ટ મંજૂર થતા બાંધકામ પણ પૂર્ણતાના આરે છે નવી જેઆઇસી બનવાથી ભુજ જેઆઇસીમાં કેદીઓનું ભારણ ઘટશે. હાલે ભુજ જેઆઈસીમાં ક્ષમતા કરતા ત્રણગણા વ્યક્તિઓ નજરકેદ છે.
9 બેરેક સાથે રાષ્ટ્રીય એજન્સીઓની પૂછપરછ માટે વિશેષ સુવિધા
સરદારનગર ખાતેના નવા JICમાં નવ બેરેક હશે તેમજ એક મુખ્ય વોર્ડન, સુરક્ષા વ્યવસ્થા, કારકુની સ્ટાફ અને ત્રણ રસોઈયાની નિમણુંક કરવામાં આવશે. અટકાયત કરાયેલા લોકો અન્ય દેશોના હશે જેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરતા ઝડપાયા હોવાથી રાજ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ તેમની પૂછપરછ કરી શકે એ માટે સુવિધા હશે.
નવી જેઆઈસી કાર્યરત થતા ભુજની જેલમાં માત્ર કચ્છ રેંજનો સમાવેશ
હાલે ભુજ જેઆઇસી રાજ્યમાં એકમાત્ર હોવાથી આખા રાજ્યમાં ક્યાંય પણ બાંગ્લાદેશી,પાકિસ્તાની કે વિઝા વગર નાગરિક પકડાય તો ભુજ મોકલી દેવાય છે પણ અમદાવાદની જેઆઇસી શરૂ થતાં ભુજની જેલના વિસ્તારમાં ઘટાડો થશે.કચ્છ રેન્જ હસ્તકના પૂર્વ અને પશ્ચિમ કચ્છ,બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઘૂસણખોરોને જ રાખવામાં આવશે.
ભુજ જેઆઇસી બિલ્ડીંગને પણ નવી બનાવવી જરૂરી
હરિપર રોડ પર રેન્જ આઈજીની કચેરી પાસે આવેલી જેઆઇસી બિલ્ડીંગ હવે સાવ ખખડધજ બની ગઇ છે.પોપડાઓ ખરતા હોવાથી તાજેતરમાં રીનોવેશન પણ કરવામાં આવ્યું હતું.હાલમાં જ્યારે દરેક પોલીસ સ્ટેશન આધુનિક બની રહ્યા છે ત્યારે વર્ષો જૂની આ જેઆઈસીને પણ નવી બિલ્ડીંગ આપવી જોઈએ તેવો સમયનો તકાજો છે.