વિમાનમાં અહીં ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હોવ તો વાંચી લેજો! ચાર મહિના બંધ રહેશે આ ફ્લાઇટ
એર ઈન્ડિયા દ્વારા વધુ એક ફ્લાઇટ અંગે શટર પાડી દેવામાં આવ્યું છે.જેમાં એર ઈન્ડિયાની સુરત કોલકત્તાની ફ્લાઈટ રવિવારથી બંધ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે ઇન્ટરનેશનલ ક્ષેત્રે એર ઇન્ડિયા અને વિસ્તારા ફ્લાઇટ ઓપરેટ થાય છે જ્યારે ડોમેસ્ટિક ક્ષેત્રે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એર એશિયા ઓપરેટ થાય છે. આ ચારેય કંપની મર્જ થતાં ફ્લાઇટના ઓપરેટિંગ માટે પ્લાનિંગ થશે. ત્યારબાદ આગામી ત્રણ-ચાર મહિના પછી ફરી ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
જાન્યુઆરી 2022માં ટાટાએ એર ઈન્ડીયાને ખરીદી હતી
ટાટા સન્સે 18 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવીને એર ઈન્ડિયાને ખરીદી હતી. જે બાદ 27 જાન્યુઆરી 2022ના રોજ એર ઇન્ડિયાને ટાટાને સોંપવામાં આવી હતી. એર ઇન્ડિયાના અધિગ્રહણ પહેલા ટાટાની બે એરલાઇન બ્રાન્ડ વિસ્તારા અને એરએશિયા હતી. પરંતુ એર ઇન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ પણ મળી ગઇ.
કઈ એરલાઈન્સમાં કેટલી ક્ષમતા
એર ઇન્ડિયાના કાફલામાં 113 વિમાન, વિસ્તારાના કાફલામાં 54 વિમાન છે. એર ઇન્ડિયામાં બાસ બોઇંગ અને એરબસના 11 વેરિએન્ટ છે, જ્યારે વિસ્તારામાં માત્ર પાંચ વેરિએન્ટ છે. ભૂતકાળમાં ટાટા ગ્રૂપે એર ઇન્ડિયાના વિસ્તરણની યોજના જણાવી હતી. આ અંતર્ગત કાફલામાં ખૂબ જ જલ્દી 30 નવા વિમાનોનો ઉમેરો કરવામાં આવશે.