‘મારે નવા નવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે’, લખી યુવકે ફાંસો ખાધો

રજપૂતપરામાં આવેલી બ્રાહ્મણ બોર્ડિંગમાં રહી બી.એડ.નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ બોર્ડિંગમાં પોતાના રૂમમાં ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. રજપૂતપરામાં આવેલી બ્રાહ્મણ બોર્ડિંગના રૂમ નં.13માં રહેતા આશિષ દેવરાજભાઇ રાય (ઉ.વ.22)એ રૂમમાં પંખા સાથે ઓછાડ બાંધી ફાંસો ખાઇ લીધો હતો, વિદ્યાર્થીના આપઘાતની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આશિષના માતાપિતા સુરત રહે છે, આશિષ એક વર્ષથી રાજકોટ ઉપરોક્ત બોર્ડિંગમાં રહી બી.એડ.નો અભ્યાસ કરતો હતો, આશિષ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘મારે નવા નવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, જે સોલ્વ થશે નહીં જેથી હું આપઘાત કરું છું’. સોમવાર રાતથી આશિષના માતાપિતા સુરતથી ફોન કરતા હતા પરંતુ પુત્રનો ફોન રિસીવ થતો નહોતો, અંતે મંગળવારે બોર્ડિંગના ફોન પર ફોન કરી તપાસ કરવાનું કહેતા આશિષનો લટકતો દેહ મળી આવ્યો હતો. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.