રિષભ પંતના સમાચાર સાંભળી PM મોદી પણ વ્યથિત, ક્રિકેટ જગતમાં પ્રાર્થનાઓનો દોર; જુઓ કોણે શું કહ્યું

ક્રિકેટર રિષભ પંતની કાર ઉત્તરાખંડનાં રૂડકી નજીક દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ છે જેમાં પંત પણ ઘાયલ થયાં છે. આ ખબર આવવાથી સોશિયલ મીડિયા પર તેમનાં ફોટો વાયરલ થઇ રહ્યાં છે. તો તમામ ફેન્સ અને નેતાઓ તેમના સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. આ તમામની વચ્ચે પીએમ મોદી પણ એક ટ્વીટ કરેલ છે જેમાં તેમણે પંતનાં જલ્દી સાજાં થવાની પ્રાર્થના કરી છે.
પીએમ મોદીએ પંત માટે કર્યું ટ્વીટ
પીએમ મોદીએ આજે જ પોતાનાં માતાને અંતિમ દર્શન કર્યાં છે તો બીજી તરફ પંતનાં સારાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પંતના એક્સીડન્ટ મુદે કહ્યું કે "જાણીતા ક્રિકેટર રિષભ પંતના એક્સીડેન્ટથી ચિંતિત છું, હું તેમના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું."
મિત્રો અને ફેન્સ કરી રહ્યાં છે પ્રાર્થના
તેમના આ અકસ્માતથી ક્રિકેટ વર્લ્ડમાં હડકંપ મચી ગયો છે. ક્રિકેટરથી લઇને ફેન્સ સુધી તમામ પોતાના હીરોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, વીવીએસ લક્ષ્મણથી લઇને મહોમ્મદ શમી, અભિનવ મુકુંદ, મુનફ પટેલ સહિત તમામ લોકો પંતની સલામતી માટે દુઆઓ કરી રહ્યાં છે.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રિષભ પંત
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિષભની કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી. ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આ તરફ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતને દિલ્હી રોડ પરની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના ?
શુક્રવારે સવારે ભારતીય ક્રિકેટર રિષભ પંત કારમાં દિલ્હીથી રૂરકી તરફ આવી રહ્યા હતા.જણાવી દઈએ કે રિષભ પંતનું ઘર રૂડકીમાં છે. જ્યારે તેમની કાર નરસન નગર પહોંચી, ત્યારે કાર નિયંત્રણ બહાર ગઈ અને રેલિંગ અને થાંભલા તોડીને પલટી ગઈ. આ પછી તેની કારમાં આગ લાગી હતી. ત્યાં સુધીમાં સ્થાનિકો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ઉતાવળમાં ક્રિકેટર રિષભ પંતને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહીંથી તેમને દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.
ટીમ ઇન્ડિયામાં મહત્વનાં ખેલાડી છે પંત
પંતને શ્રીલંકાની સામે આવનારી સીરીઝથી બહાર રાખવામાં આવ્યું છે કારણકે તેમને ફેબ્રુઆરીમાં થનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફીથી પહેલા એક કાર્યક્રમ માટે NCAમાં જોડાવાનાં છે. તેમને બાંગ્લાદેશની સામે 2 ટેસ્ટ મેચ સીરીઝમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી છે. ઓસ્ટ્રેલિયાની સામે પંત ટેસ્ટ ક્રિકેટનાં સૌથી મોટા મેચ વિનર માનવામાં આવે છે. રિષભ પંતને ટીમ ઇન્ડિયાનાં ભાવી કેપ્ટન પણ માનવામાં આવી રહ્યાં છે. આ દુર્ઘટનાથી ફેન્સ પણ દુ:ખી છે.