'માતાના નિધન બાદ તરત કામ પર લાગી ગયા', મુલાકાત બાદ CM બઘેલે PMના કર્યાં વખાણ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શનિવારે પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેઓ પીએમ મોદીને તેમના રાજ્યના મુદ્દાઓને લઈને મળ્યા હતા.
માતાના નિધનના બીજા દિવસે કામ પર લાગી જાય તેવું ભાગ્યે જ બને
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, "મેં છત્તીસગઢના મુદ્દાઓને લઈને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની માંગ કરી હતી. ગઈકાલે તેમના માતા હીરાબેનના અવસાન પછી, મેં બીજા દિવસે અથવા તે પછી મીટિંગ યોજવાની વિનંતી કરી હતી, પરંતુ મને કહેવામાં આવ્યું હતું કે મુલાકાત નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે થશે. તેમણે જણાવ્યું હતું કે આવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે આવી ઘટના (માતાનું અવસાન) પછી પણ કોઈ તમામ કાર્યક્રમ અગાઉની જેમ કરે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ શુક્રવારે તમામ કાર્યક્રમો પૂરા કર્યાં અને મને સૌથી પહેલા મળવાનો સમય આપ્યો.
માતા હીરાબાના અવસાન બાદ તરત કામે લાગ્યાં પીએમ મોદી
ઉલ્લેખનીય છે કે શુક્રવારે વડાપ્રધાન મોદીના માતા હીરાબેનનું અમદાવાદની હોસ્પિટલમાં 99 વર્ષની વયે નિધન થયું હતું. માતાની અંતિમવિધિ બાદ તરત પીએમ કામે લાગ્યાં હતા અને અગાઉથી નક્કી થયેલ કાર્યક્રમ બંધ રાખ્યા નહોતા.
રાહુલની પીએમ ઉમેદવારી અંગે શું કહ્યું?
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મંગળવારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના રાહુલ ગાંધી પીએમ પદના ઉમેદવાર પરના નિવેદનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધીનું સત્ય લોકો સામે આવ્યું. રાહુલ ગાંધી વિપક્ષનો ચહેરો હશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હું આ ન કહી શકું, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હું ચોક્કસ પણે ઇચ્છું છું કે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર બને.
શું કહ્યું પૂર્વ સીએમ કમલનાથે?
કોંગ્રેસ નેતા કમલનાથે શુક્રવારે ભારત જોડો યાત્રાને લઈને રાહુલ ગાંધીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં તે માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં પરંતુ પ્રધાનમંત્રી પદનો ચહેરો પણ હશે.