નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરૂડેશ્વર કોઝ વે ઉનાળામાં ઓવરફલો થઇ રહયો છે. ઉનાળામાં જયાં નર્મદા નદી સુકીભઠ બની જતી હોય છે તેવામાં કોઝવે 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે અને તેનું કારણ છે ડેમમાં પાણીની આવક થઇ રહી હોવાથી રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
કેવડિયા ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી 129.61 મીટર છે. મધ્યપ્રદેશમાં આવેલાં બર્ગી, ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમના પાવરહાઉસ ચાલુ હોવાથી સરદાર સરોવરમાં પાણી આવી રહ્યું છે. સરદાર સરોવરમાં 33 હજાર કયુસેક પાણીની આવક છે જેની સામે ડેમના પાવરહાઉસ ચાલુ કરી 40 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હોવાથી વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ભળી રહ્યું છે. કોઝવે હાલ 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે.