મોરબી આર્યસમાજમાં પહેલીવાર જ વાર મહિલાના યજ્ઞબ્રહ્મ પદે યોજાઇ લગ્નવિધિ

સામાન્ય રીતે યજ્ઞબ્રહ્મ પદે પુરુષ આચાર્ય જ બીરાજમાન હોય તેવી આપણી પરંપરા છે, બહુ જૂજ કિસ્સામાં આ પદે કોઇ મહિલાએ બીરાજી લગ્નવિધિ કરાવી હોવાનું જાણમાં આવે. જો કે સનાતન ધર્મની કેડીએ ચાલતા આર્યસમાજમાં આવો કોઇ ભેદભાવ રખાતો હોતો નથી મોરબીમાં આવા અનોખા લગ્ન આર્યસમાજમાં યોજાયા હતા અને બુધ્ધદેવ પરિવારની પુત્રીને હરિયાણાથી આવેલા અંજલિબેન આર્યએ સમગ્ર વિધિ કરાવી પરિણય પંથે પ્રયાણ કરાવ્યું હતું. મોરબી આર્યસમાજના ઇતિહાસમાં તો આ પહેલો જ બનાવ છે કે જ્યાં મહિલાએ સંસ્કૃત વિધિ વિધાનના અમલ અને મંગલ સુત્રોચ્ચાર સાથે સંપૂર્ણ લગ્નવિધિ કરાવી હોય.
મોરબીના અનિલભાઇ બુધ્ધદેવ અને જ્યોતિબેનની વચલી દીકરી શૈલજાના લગ્ન ભરતભાઇ સોમૈયાના પુત્ર અર્થ સાથે આર્યસમાજ ખાતે યોજાયા હતા. આ લગ્નની નોંધપાત્ર બાબત એ હતી કે અહીં લગ્નના આચાર્ય પદે એટલે કે યજ્ઞ બ્રહ્મ તરીકે કોઇ પુરુષ નહીં, મહિલા બીરાજમાન હતા અને તે પણ ખાસ હરિયાણાથી આવેલા.
ટંકારા ખાતે આર્યસમાજમાં વર્ષોથી મહાશિવરાત્રીની ભાવપૂર્ણ ઉજવણી થતી હોય છે અને દેશ વિદેશથી અહીં આર્યસમાજીઓ ઉમટી પડે છે અને વૈદિક સંસ્કૃતિના પ્રચાર, પ્રસાર માટે જીવન સમર્પિત કરી દેનારા ભક્તો અહીં વિચારોની આપલે કરી સમાજને વધુ મદદરૂપ થવા અને સંસ્કૃત કરવાના આયોજનને મૂર્તિમંત સ્વરૂપ આપતા હોય છે અને એ જ અનુસંધાને આવેલા અંજલિબેને શૈલજાના લગ્નસંસ્કારને સંપન્ન કરાવ્યા. તમામ વિધિ પાછળનું રહસ્ય તેમણે સરળ શબ્દોમાં સમજાવ્યું કે જે સામાન્ય રીતે સંભવ હોતું નથી.
દીકરીઓને આપ્યા છે યજ્ઞોપવિત સંસ્કાર
આર્યસમાજને વરેલા આ પરિવારે અંજલિબેનની જ પસંદગી શા માટે કરી તેના જવાબમાં ડો. નીતિનભાઇએ જણાવ્યું હતું કે મારા પિતા અમૃતભાઇ ટંકારામાં પ્રખર આર્યસમાજી તરીકે જાણીતા હતા. અમારા પરિવારમાં એ જ સંસ્કાર વારસામાં આવ્યા છે. અમે દીકરીઓને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. કેમકે અમે માનીએ છીએ કે સમાજને એ જ પરિવાર સંસ્કૃત કરી શકે કે જેમના ઘરમાં સંસ્કારોનું પાલન થતું હોય અને એ સંસ્કારના પ્રચાર પ્રસારથી રાષ્ટ્રધર્મનું પાલન થાય.