ભયના ઓથાર વચ્ચે રહેતા ફ્લેટધારકો, આદિપુરની જર્જરીત ઇમારત આચકાઓથી બની વધુ જોખમી

કચ્છમાં વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ હજુ પણ ક્યારેક હળવા આંચકા આવી રહ્યા છે ત્યારે બહુમાળી ઇમારતોની સ્થિતિ ખખડધજ બની રહી છે. આદિપુરમાં 4 - એ વિસ્તારમાં આવેલા ચંદ્રમુખી એપાર્ટમેન્ટમાં હાલ 10 જેટલા પરિવારો રહે છે. ભૂકંપ પહેલાં બનેલી આ ઈમારતમાં નાના આંચકા આવે અને અહીંના રહેવાસીઓમાં ભયનો માહોલ થઈ જાય છે. બિલ્ડિંગમાં પાછળના ભાગના ફ્લેટમાં અવારનવાર પોપડા ખરતા હોવાના બનાવ બનતા રહે છે. તો, ઠેકઠેકાણે ઇમારતના બાંધકામમાં સળિયા બહાર દેખાઈ રહ્યા છે.
આ સિવાય, છતમાં પણ સળિયા બહાર આવી ગયા છે. હાલ રહેતા કેટલાક રહેવાસીઓના જણાવ્યાનુસાર, ફ્લેટધારકોને યોગ્ય વળતર મળે તે માટેની સરકારની યોગ્ય નીતિ ન હોવાથી તેઓ અહીં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ સિવાય, કેટલાકફ્લેટમાલિકો તેમના ફ્લેટ ભાડે આપીને અન્યત્ર રહેવા નીકળી ગયા છે. બીજી તરફ, રામબાગ રોડને અડીને આ ઈમારત આવેલી હોવાથી કોઈ મોટા અકસ્માતનો ભય પણ રહે છે. ગાંધીધામ - આદિપુરમાં સેંકડો ઇમારતો એવી છે જે ભૂકંપના સતત આંચકા આવતા જર્જરિત થઈ ગઈ છે અને કેટલીક ઇમારતો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. પરંતુ, યોગ્ય નીતિ અને ઝડપી કામગીરી ન થવાને લીધે ઇમારતોની સ્થિતિ બદ થી બદતર થઈ રહી છે.