લાંબી ઉંમર અને બીમારીઓથી છુટકારો મેળવવા માટે આ દિવસે વ્રત અને સૂર્ય પૂજા કરવાનું વિધાન છે

રથ સાતમ વ્રત મહા મહિનાના સુદ પક્ષની સાતમ તિથિએ રાખવામાં આવે છે. મત્સ્ય પુરાણ પ્રમાણે આ વ્રત સંપૂર્ણ રીતે ભગવાન સૂર્યને જ સમર્પિત છે. આ દિવસે કરવામાં આવતા સ્નાન, દાન અને પૂજા-પાઠનું હજાર ગણું વધારે શુભ ફળ મળે છે. આ વખતે આ વ્રત 28 જાન્યુઆરીના રોજ છે.
રથ સાતમના દિવસે સૂર્યોદય પહેલાં પવિત્ર સ્નાન કરવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. રથ સાતમના દિવસે તીર્થ અને પવિત્ર નદીઓમાં કરવામાં આવતાં સ્નાનનું એક મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાન છે અને તે માત્ર સૂર્યોદય સમયે અથવા તેનાથી પહેલાં કરવામાં આવવું જોઈએ. સાતમના દિવસે ભગવાન સૂર્યની આરાધના કરવાથી આરોગ્ય, પુત્ર અને ધન પ્રાપ્તિ થાય છે. ગ્રંથોમાં સૂર્યને આરોગ્યદાયક કહેવામાં આવે છે. સૂર્ય ઉપાસનાને રોગ મુક્તિનો રસ્તો જણાવવામાં આવે છે. આ કારણે તેને આરોગ્ય સાતમ પણ કહેવામાં આવે છે.

પૂજા વિધિ અને મહત્ત્વ
સ્નાન કર્યા પછી સૂર્યોદય સમયે ભક્ત સૂર્ય ભગવાનને અર્ઘ્યદાન આપે છે. આ અનુષ્ઠાન દરમિયાન ભક્તોએ નમસ્કાર મુદ્રામાં હોવું જોઇએ અને સૂર્ય ભગવાનની દિશા તરફ મુખ હોવું જોઇએ. તે પછી ભક્તોએ ઘીના દીવા અને લાલ ફૂલ, કપૂર અને અગરબત્તી સાથે સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઇએ. માન્યતા પ્રમાણે આ બધા અનુષ્ઠાન કરવાથી સૂર્ય ભગવાન સારા સ્વાસ્થ્ય દીર્ઘાયુ અને સફળતાનું વરદાન આપે છે.
આ દિવસે અનેક ઘરમાં મહિલાઓ સૂર્યદેવતાના સ્વાગત માટે સૂર્યદેવ તથા તેમના રથનું ચિત્ર બનાવે છે. તેઓ પોતાના ઘર સામે સુંદર રંગોળી બનાવે છે. ફળિયામાં માટીના વાસણોમાં દૂધ રાખવામાં આવે છે અને સૂર્યની ગરમીથી તેને ગરમ કરે છે. પછી તે દૂધનો ઉપયોગ સૂર્ય ભગવાનને ભોગમાં અર્પણ કરવામાં આવતા ચોખામાં કરવામાં આવે છે.

વ્રત કથા
મહા મહિનાની સાતમ તિથિ સાથે જોડાયેલી કથાનો ઉલ્લેખ પૌરાણિક ગ્રંથોમાં છે. જેમના પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સાંબને પોતાના શારીરિક બળ ઉપર અભિમાન થઈ ગયું હતું. જ્યારે દુર્વાસા ઋષિ અનેક દિવસો સુધી તપ કરીને ભગવાન શ્રીકૃષ્ણને મળવા આવ્યાં ત્યારે તેમનું શરીર ખૂબ જ નબળું થઈ ગયું હતું. સાંબે તેમની દુર્બળતાનો મજાક ઉડાવ્યો અને અપમાન કર્યું. જેથી ક્રોધિત દુર્વાસા ઋષિએ સાંબને કોઢનો રોગ થવાનો શ્રાપ આપ્યો.
સાંબની આ સ્થિતિ જોઈને શ્રીકૃષ્ણએ તેમને ભગવાન સૂર્યની ઉપાસના કરવા માટે કહ્યું. પિતાની આજ્ઞાથી સાંબે ભગવાન સૂર્યની આરાધના કરી. જેના દ્વારા થોડા જ સમયમાં કોઢનો રોગ ઠીક થઈ ગયો. એટલે સાતમ તિથિએ ભગવાન સૂર્યની આરાધનાથી આરોગ્ય, પુત્ર અને ધન પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં સૂર્યને આરોગ્ય આપનાર દેવતા કહેવામાં આવ્યાં છે અને સૂર્ય ઉપાસનાથી રોગ મુક્તિનો રસ્તો પણ જણાવ્યો છે.