એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા.
મેચ જીત્યા પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા. અગાઉ, ટોસ પછી પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા.
ગ્રુપ-Aની આ મેચમાં ભારતીય બોલરોએ પાવરપ્લેથી જ દબાણ બનાવ્યું અને પાકિસ્તાની બેટર્સને અંત સુધી ઉપર આવવાનો મોકો ન આપ્યો. સાહિબઝાદા ફરહાન (40 રન) અને શાહીન આફ્રિદી (33 રન) સિવાય કોઈ પણ બેટર સારું પ્રદર્શન કરી શક્યો નહીં. કુલદીપ યાદવે 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી.
ભારતીય ટીમ માટે ઓપનર અભિષેક શર્મા અને તિલક વર્માએ 31-31 રનની ઇનિંગ્સ રમી. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે અણનમ 47 રન બનાવ્યા. સૂર્ય-તિલકે ત્રીજી વિકેટ માટે 56 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી. પાકિસ્તાન તરફથી સૈમ અયુબે ત્રણેય વિકેટ લીધી.
મેચના પૂરી થયા પછી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી. તેણે એમ પણ કહ્યું કે અમે પહેલગામના પીડિત પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ, આ જીત આપણા તમામ સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ. આશા છે કે તેઓ આપણને પ્રેરણા આપતા રહેશે.