ચીન પર 'આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક'! બજેટમાં આ મોટું એલાન કરી શકે છે મોદી સરકાર

ભારત અને ચીનના સંબંધો દિવસેને દિવસે ખૂબ ખરાબ થતાં જઈ રહ્યા છે, પહેલા ડોકલામ અને હવે તવાંગમાં પણ બંને દેશોની સેના વચ્ચે અથડામણ થઈ છે ત્યારે ભારત હવે ચીન પર આર્થિક સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે.
બિઝનેસમાં ભારત ચીનને આપશે ઝટકો
ભારત અને ચીનના સંબંધો ભલે ખરાબ હોય પરંતુ બિઝનેસમાં તો પણ ભારતમાં હજારો કરોડ રૂપિયાના સામાનની આયાત ચીનમાંથી થાય છે. નાની ચમચીથી લઈને મોટા મશીન સુધી અનેક વસ્તુઓની આયાત ચીનમાંથી જ કરવામાં આવે છે. જોકે મોદી સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતનો કોન્સપેટ આપીને ભારતમાં જ ઉત્પાદન વધારવાની નીતિ લાવવામાં આવી છે, આ સિવાય કોરોના વાયરસના કારણે ચીનમાંથી અનેક કંપનીઓ બંધ થઈ રહી છે અને ભારત આવી રહી છે. આટલું જ નહીં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર પણ ચાલી રહ્યો છે જેનો લાભ પણ ભારતને થઈ રહ્યો છે.
બજેટમાં થઈ શકે છે મોટા એલાન
હવે મોદી સરકાર ચીન પર આર્થિક પ્રહાર કરવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. ચીનથી થતી આયાતને ઓછી કરવા માટે આગામી બજેટમાં કોઈ મોટું એલાન કરવામાં આવી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલમાં દાવા અનુસાર ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર દ્વારા સંકેત આપવામાં આવ્યા છે.
તૈયાર માલની આયાત પર લાગી શકે છે રોક
ચીનથી સીધી જ આયાત થતી કેટલી તૈયાર વસ્તુઓ પર રોક લાગી શકે છે, ચીન માટે આ નિર્ણય ખૂબ મોટો ઝટકો સાબિત થશે કારણ કે ભારત ચીન માટે એક ખૂબ મોટું માર્કેટ છે. બની શકે કે મોદી સરકાર ચીનમાંથી કાચા માલની આયાત ચાલુ રાખે પણ તૈયાર માલ પર કોઈ પ્રકારની રોક લગાવવામાં આવે.
નોંધનીય છે કે અત્યાર સુધી ભારતે ચીનની 100 ઉત્પાદો પર પ્રતિબંધ લગાવ્યો છે જેમઆઆ પોલિસ્ટર, સોલર સેલ, ટાઇલ્સ, લેન્સ જેવી અનેક આઇટમો છે. આંકડાઓ અનુસાર ઓકટોબર 2022માં ભારતમાં ચીનની આયાત 9.73 ટકા સીધી ઘટી છે. જેના કારણે ચીનને અબજો ડોલરનો ફટકો પડ્યો છે.