મિશ્રઋતુને લીધે શાળાઓમાં 8થી 10 ટકા બાળકોને તાવ, શરદી, ઉધરસ, વાઇરલ ઇન્ફેક્શન : સ્કૂલોમાં ફોગિંગ પણ શરૂ કરવા પડ્યા

દિવાળી બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં શાળાઓ તો શરૂ થઇ ગઈ છે, પરંતુ હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા હોવાથી ‘દિવ્ય ભાસ્કરે’ શહેરના શાળા સંચાલકો સાથે વાતચીત કરતા અને વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાનું કારણ પૂછતાં મિશ્રઋતુમાં શાળાઓમાં એવરેજ 8થી 10 ટકા વિદ્યાર્થીઓ બીમાર હોવાને કારણે ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું હતું. શિયાળાની શરૂઆત છે ત્યારે બપોરે તડકો અને રાત્રે ઠંડી એમ મિશ્રઋતુમાં ખાસ કરીને નાના બાળકોમાં શરદી, ઉધરસ, તાવ અને વાઇરલ ઇન્ફેકશનના કિસ્સા વધુ જોવા મળ્યા હતા.
100થી વધુ વિદ્યાર્થી ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવ્યુંઆવી નાની-મોટી બીમારીઓને લીધે રોજ 100થી વધુ વિદ્યાર્થી ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવ્યું છે. શાળાઓમાં પણ અન્ય બાળકોને ચેપ ન લાગે તે માટે નિયમિત રીતે ગૂગળનો ધૂપ અને ફોગિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત કેટલીક શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી પણ શરૂ કરી છે.
સૂચનો - બાળકો બીમાર ન પડે તે માટે શાળા સંચાલકોએ વાલીઓને કર્યા સૂચનો
- શક્ય હોય ત્યાં સુધી બાળકો હોટેલ કે બહારના જંક ફૂડથી દૂર રહે.
- બાળકો વધારે પડતા બિનજરૂરી ઉજાગરાથી દૂર રહે.
- બાળકો ટીવી સામે લાંબો સમય બેસી રહી, ખાવાનું કે ઠંડા પીણાઓ ચાલુ ન રાખે.
- સામાન્ય દિનચર્યા બાળકોની નિયમિત રીતે જળવાય રહે.
- બાળકો એકબીજાના વસ્ત્રો કે રૂમાલ / માસ્કનો ઉપયોગ ન કરે.
- ઠંડા પાણીના સાવર નીચે સ્નાન કરે તે કરતા હૂંફાળું પાણી વધારે યોગ્ય રહે.
- બપોરે અને રાત્રે ગરમ રસોઈ જમે, શક્ય હોય ત્યાં સુધી રાત્રે હળવો ખોરાક લે.
- ઋતુ કે શારીરિક જરૂરિયાત અનુસાર વસ્ત્રો પહેરવા વિશેષ જરૂરી બની રહે છે.
- સવારે હળદર/કેસરવાળું દૂધ લે, શિયાળામાં ઘરે બનાવેલી સૂંઠ-ગોળની ગોળીઓ લે.
- શાળા સંચાલકોએ કહ્યું, બાળકો નબળાઈ, ગાળામાં બળતરા જેવી ફરિયાદો કરે છે
- શાળા સંચાલકોએ કહ્યું હતું કે, હાલ મિશ્રઋતુને કારણે બાળકો સામાન્ય રીતે અશક્તિ એટલે કે નબળાઈ, ગળામાં બળતરા, શરદી-ઉધરસ, તાવ, માથું દુ:ખવું, વાઇરલ ઇન્ફેકશન જેવી બીમારીના લક્ષણ હોવાની ફરિયાદ કરતા હોય છે. અન્ય બાળકોમાં ચેપ ન લાગે તે માટે શાળાઓમાં યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે.