અમદાવાદના વિશાલા-નારોલ બ્રિજ પર જીવ હથેળી પર રાખીને વાહન ચલાવજો

સ્માર્ટ અને મેટ્રો સિટી અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે તંત્ર દ્વારા નવા-નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે જૂના બ્રિજની મરામત કરવામાં તંત્ર ઘોર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેવું લાગી જણાઈ રહ્યું છે. તૂટેલી રેલિંગ, રોડ પર ગાબડાં અને બે ગર્ડર વચ્ચે વિશાળગેપ સાથે ગમે ત્યારે ધ્વસ્ત થવાની રાહ જોઈને અમદાવાદનો વિશાલા-નારોલ બ્રિજ ઊભો છે પરંતુ તંત્ર જાણે કોઈ કરુણાંતિકા સર્જાવાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે
અમદાવાદમાં લાલબહાદુર શાસ્ત્રી બ્રિજની હાલત જર્જરીત
તૂટેલી રેલિંગ, રોડ પર ગાબડાં અને બે ગર્ડર વચ્ચે વિશાળગેપ અને ગમે ત્યારે ધ્વસ્ત થવાની રાહ જોઈ રહેલો આ બ્રિજ જોતા આપણા રાજ્યના કોઈ અંતરિયાળ ગામડાના બ્રિજ કરતા પણ વધુ દૂરદશા જણાશે. પરંતુ આ બ્રિજ આપણા સ્માર્ટ અને મેગાસિટી એવા અમદાવાદના નારોલ નજીકના લાલબહાદુર શાસ્ત્રી બ્રિજની છે. જી હા, જો તમે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નારોલથી વિશાલા સર્કલ સુધી જતા હો તો પીરાણા નજીક આવેલા લાલબહાદુર શાસ્ત્રી બ્રિજ પરથી પોતાનું વાહન સાચવીને ચલાવજો. કારણ કે આ બ્રિજ ગમે ત્યારે કોઈનો ભોગ લઈ શકે તેવો છે. આ બ્રિજ પર દરરોજ એક લાખ જેટલા નાના-મોટા વાહનોની અવર-જવર થાય છે અને જ્યારે પણ બ્રિજ પરથી બે ભારે વાહનો પસાર થાય ત્યારે બ્રિજમાં ધ્રુજારી અનુભવાય છે, પરંતુ તંત્રએ તો માત્ર બ્રિજની રેલિંગને સફેદકલર કરીને સંતોષ માની લીધો છે.
આ બ્રિજ પર છેલ્લાં ઘણા સમયથી લાઈટની વ્યવસ્થા જ નથી
આ બ્રિજ બન્યાને 50 વર્ષ કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે આ બ્રિજ જૂનોપુરાણો બની ગયો છે. ઠેર ઠેર ગાબડાં અને બે ગર્ડર વચ્ચે મોટા ગેપ, અને ભારેવાહનોના પરિવહન વખતે બ્રિજ પર અનુભવાતી ભયાનક ધ્રુજારી. આ અનુભૂતિ અહી પસાર થતાં વાહનચાલકોને ભયના ઓથાર હેઠે મૂકી રહી છે. રાત્રિના સમયે તો આ બ્રિજ પરથી પસાર થવું વાહનચાલકો માટે મોટો પડકાર બની રહે છે, કેમ કે આ બ્રિજ પર છેલ્લાં ઘણા સમયથી લાઈટની વ્યવસ્થા જ નથી. પરંતુ તંત્ર હજુ જાણે અહીં મોરબી બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે.
બ્રિજને લઈ લોકો કટાક્ષ કરી રહ્યાં છે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેઠળ આવતા આ બ્રિજને રિપેર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી આ બ્રિજનું સમારકામ થઇ શક્યું નથી. અહીંથી પસાર થતાં લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, કેટલાક લોકોના જીવ જશે પછી જ આ બ્રિજ રિપેર થશે તેવું લાગ છે.