પેશાબ કાંડ મામલે DGCA એક્શનમાં: Air Indiaને ફટકાર્યો રૂ.30 લાખનો દંડ, પાયલટનું લાયસન્સ પણ સસ્પેન્ડ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પેશાબ કરવાની ઘટનાને લઈને શુક્રવારે એરલાઈન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. DGCA નાગરિક ઉડ્ડયન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત પાયલટનું લાયસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

ફરજ નિભાવવામાં નિષ્ફળતા માટે પાયલટ પર કાર્યવાહી
પાયલટ પર આ કાર્યવાહી એરક્રાફ્ટ રૂલ્સ 1937ના નિયમ 141 અને લાગુ DGCAના નાગરિક ઉડ્ડયન નિયમો હેઠળ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળતા માટે કરવામાં આવી છે. આ સિવાય એર ઈન્ડિયાની ફ્લાઇટ સર્વિસના ડાયરેક્ટરને પણ ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
એર ઇન્ડિયાને મોકલવામાં આવી હતી નોટિસ
આ કેસમાં પીડિત મહિલાએ એર ઈન્ડિયા પર સમયસર એક્શન ન લેવાનો અને સમાધાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ DGCAએ એર ઈન્ડિયાને કારણ જણાવો નોટિસ જારી કરી હતી. આ પછી ડીજીસીએએ એર ઈન્ડિયાને પૂછ્યું છે કે, 'તમારી સામે શા માટે કાર્યવાહી ન કરવામાં આવે. તમે તમારી જવાબદારી યોગ્ય રીતે નીભાવી નથી, પરંતુ તેમ છતાં ન્યાયિક પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તમને જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપવામાં આવશે. તેના આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

મહિલાએ ક્રૂ મેમ્બરની ફરિયાદ પણ કરી હતી
મહિલા પેસેન્જરે પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે, “હું ફ્લાઇટ AI102માં મારી બિઝનેસ ક્લાસની યાત્રા દરમિયાન બનેલી ભયાનક ઘટના અંગે મારી ઊંડી નિરાશા વ્યક્ત કરવા માટે લખી રહી છું. આ મારી અત્યાર સુધીની સૌથી દર્દનાક યાત્રા રહી છે. યાત્રા દરમિયાન લંચના થોડા સમય પછી લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે હું સૂવા માટે તૈયારી કરી રહી હતી, ત્યારે એક નશામાં ધૂત એક પેસેન્જર સીટ પાસે આવ્યો હતો અને મારી ઉપર પેશાબ કર્યો હતો.''
પુરુષ મુસાફર સામે કરાઈ નહોતી કાર્યવાહી
અન્ય મુસાફરોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો છતાં તે ન માન્યો. તેમણે કહ્યું કે, 'ક્રૂએ તેમને માત્ર કપડા બદલવા માટે માત્ર એક જોડી પાયજામો અને ચપ્પલ આપી હતી, પરંતુ આવું કૃત્ય કરનાર પુરુષ મુસાફર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.'

બેંગલુરુથી કરાઈ હતી ધરપકડ
26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પેસેન્જર પર નશામાં શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની 7 જાન્યુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ઘટનાના 42 દિવસ બાદ તેની ધરપકડ થઈ હતી. મુંબઈનો રહેવાસી શંકર ફરાર હતો, ત્યારબાદ તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેના મોબાઈલ લોકેશનના આધારે આરોપીની ધરપકડ કરી હતી.