વડોદરાના એસ્ટેટ બ્રોકરને ચેક રિટર્ન કેસમાં અદાલતે 1.9 વર્ષની સજા ફટકારી

વડોદરાના છાણી જકાતનાકા પાસે રહેતા અને જમીન મકાન લે-વેચનું કામકાજ કરતા નટવરલાલ મણિલાલ ઠક્કર સામે ચેક રિટર્નનો કેસ ચાલી જતા રાજકોટની અદાલતે તકસીરવાન ઠેરવી એક વર્ષ અને નવ મહિનાની સજાનો હુકમ કર્યો છે. તેમજ ચેકની રકમ મુજબનું વળતર બે મહિનામાં ચૂકવવા અન્યથા વધુ છ મહિનાની સજાનો આદેશ કર્યો છે. રાજકોટમાં શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા અરજણભાઇ જશાભાઇ જળુએ મિત્રતાના દાવે આરોપી નટવરલાલને સારા લોકેશનમાં મિલકત લેવાની વાત કરી હતી. જેથી આરોપીએ મિલકત બતાવી તેનું ટાઇટલ ક્લીયર કરાવી દસ્તાવેજ કરાવી આપવાનું કહી રૂ.51 લાખ લીધા હતા.
બાદમાં તે મિલકતનો એક વારસદાર માનતો ન હોવાનું બહાનું બતાવી દસ્તાવેજ કરી નહિ આપતો હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપીને આપેલી રકમ પરત માગતાં તેને રૂ.51 લાખની રકમનો ચેક લખી આપ્યો હતો, પરંતુ તે ચેક પરત ફરતા રાજકોટના અરજણભાઇએ એડવોકેટ સુરેશ ફળદુ મારફતે નોટિસ બાદમાં કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ફરિયાદપક્ષે દસ્તાવેજી પુરાવાઓ સાથે અદાલતમાં રજૂ કરી કેસને પુરવાર કર્યો હતો. બંને પક્ષોની દલીલ, રજૂઆતો સાંભળ્યા બાદ અદાલતે વડોદરાના એસ્ટેટ બ્રોકરને દોષિત ઠેરવી સજા ફટકારી છે.
ચેક રિટર્નના અન્ય એક કેસમાં વડોદરા રહેતા બેંક ઓફિસર ચંદ્રસિંહ ફતેસિંહ પરમાર સામે કેસ ચાલી જતા અદાલતે નવ મહિનાની સજા અને ચેક મુજબની રકમ નવ ટકાના વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરી તેની સામે પકડ વોરંટ ઇસ્યૂ કર્યુ છે. આરોપીએ સંબંધના દાવે રાજકોટમાં રહેતા જયરાજસિંહ ગોરધનભાઇ પઢિયારને રૂ.2 લાખ આપ્યા હતા. જેની સામે આપેલો ચેક રિટર્ન થતા જયરાજસિંહે એડવોકેટ હર્ષદકુમાર એસ. માણેક મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે થયેલી રજૂઆતને ધ્યાને રાખી અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો છે.