ફરી એક વખત દસ્તક આપી રહ્યો છે કોરોના, તમારી સુરક્ષા માટે ઘરે જ ફોલો કરો આ ઘરગથ્થુ ઉપાય

કોરોના મહામારીએ ફરી એકવાર દસ્તક આપી છે. ચીનમાં કોરોના ફરી એકવાર તબાહી મચાવી રહ્યો છે.

મહામારી નિષ્ણાંત અને હેલ્થ ઈકોનોમિસ્ટ એરિક ફીગલ-ડિંગે કહ્યું કે ચીનમાં હોસ્પિટલો સંપૂર્ણ રીતે ભરાઈ ગઈ છે. તેમનો અંદાજ છે કે આગામી 90 દિવસમાં ચીનની 60 ટકાથી વધુ વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી કોરોનાના આ નવા વેરિએન્ટથી સંક્રમિત થવાની સંભાવના છે.

આ સિવાય લાખો લોકોના મોતની પણ આશંકા છે. ચાલો જાણીએ કે ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ ભારતમાં કેટલું ખતરનાક છે અને કયા લક્ષણોનું ધ્યાન રાખવું જોઈએ.

શું છે નવા વેરિઅન્ટના લક્ષણો?
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે કોવિડ 19ના ઓમિક્રોનના સબ વેરિએન્ટ BA.5.2 અને BF.7 ઝડપથી ફેલાઈ રહ્યા છે. હેલ્થ એક્સપર્ટ્સ તેને બહુ ખતરનાક નથી માની રહ્યા, પરંતુ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, આ વેરિએન્ટ્સથી સંક્રમિત દર્દીઓમાં ગળામાં ઈન્ફેક્શન, શરીરમાં દુખાવો, હળવો કે ખૂબ જ વધુ તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.

આ ઘરગથ્થુ ઉપાયોથી કરો તમારી રક્ષા
દિલ્હીના વરિષ્ઠ ફિઝિશિયન ડૉ. કમલજીત સિંહ કૈંથ કહે છે કે કોરોનાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આપણે માસ્ક પહેરવાનું બિલકુલ ન ભૂલવું જોઈએ. જો તમે ઘરની બહાર નીકળો છો, તો માસ્ક અવશ્ય પહેરો.

આ સિવાય કોરોનાથી બચવાનો ઘરેલું ઉપાય એ છે કે તમારે તમારી ડાયેટ પર ધ્યાન આપવું જોઈએ. ડૉ. કમલજીત સિંહ કૈંથે જણાવ્યું કે તમારે તમારા આહારમાં ડુંગળી, લસણ અને લીંબુનો સમાવેશ કરવો જ જોઈએ. આ એન્ટી વાયરલ વસ્તુઓ તમારી રોગપ્રતિકારક શક્તિની રક્ષા કરે છે.

ડો.કમલજીત સિંહ કૈંથના જણાવ્યા અનુસાર, સ્વચ્છતાના પાલનની સાથે તમારા આહારમાં વિટામિન સી અને ઝિંકની માત્રામાં વધારો કરો. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. આ સિવાય કોઈપણ વસ્તુને સ્પર્શ કર્યા પછી તમારા હાથને બરાબર ધોઈ લો.

ન કરો ઉકાળાનું સેવન
ડૉ. કમલજીત સિંહ કૈંથ કહે છે કે સામાન્ય રીતે તેઓ લોકોને ઉકાળો ન પીવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે આ ઉકાળો પીધા બાદ ઘણા લોકોના પેટ અને મોઢામાં ચાંદાની ફરિયાદો સામે આવી છે.