હરતાં-ફરતા અચાનક થતાં મોત પાછળ કોરોનાનું કનેક્શન? તપાસ માટે લેવાયો આ મોટો નિર્ણય

હરતાં-ફરતા અચાનક થતાં મોત પાછળ કોરોનાનું કનેક્શન? તપાસ માટે લેવાયો આ મોટો નિર્ણય

ક્યાંક ચાલતી વખતે અચાનક મૃત્યુ થાય છે તો ક્યાંક જીવન નાચતા-ગાતા પૂરું થઇ જાય છે. કેટલીકવાર અભિનેતાઓ અભિનય કરતી વખતે અચાનક મૃત્યુ પામે છે અને કેટલીકવાર તેઓ જીમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા રમતના મેદાનમાં રમતી વખતે મૃત્યુ પામે છે. સોશિયલ મીડિયાના યુગમાં આવી ઘટનાઓના વીડિયો સતત સામે આવી રહ્યા છે. આખરે, કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓ અચાનક કેમ વધી રહી છે? શું તેનો કોરોના સાથે કોઈ સંબંધ છે? આવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે અને તેને લઈને વિવિધ પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ આ પ્રશ્નોના જવાબો શોધવા માટે એક અભ્યાસ શરૂ કર્યો છે.

વર્બલ એટોપ્સી પદ્ધતિ અપનાવવામાં આવશે
ICMRએ કાર્ડિયાક અરેસ્ટની ઘટનાઓમાં અચાનક વધારો થવાનું કારણ અને તેમાં કોરોનાની કોઈ ભૂમિકા છે કે કેમ તે જાણવા માટે અભ્યાસ શરૂ કર્યો છે. નિષ્ણાતોએ દેશભરમાં આકસ્મિક મૃત્યુના કેસોની તપાસ શરૂ કરી દીધી છે. આ માટે વર્બલ એટોપ્સીની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આમાં, કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામેલા વ્યક્તિમાં કયા લક્ષણો જોવા મળ્યા, તે કયા સંજોગોમાં મૃત્યુ પામ્યા, તેને પહેલા કોઈ સમસ્યા હતી કે કેમ વગેરે જેવી માહિતી એકત્રિત કરવામાં આવે છે.

ટોચના કાર્ડિયોલોજિસ્ટએ કરી ચર્ચા
સુત્રો અનુસાર ICMRએ આ અભ્યાસમાં કેટલાક ટોચના કાર્ડિયોલોજિસ્ટ અને AIIMSના ફોરેન્સિક નિષ્ણાતોને પણ સામેલ કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, 'અચાનક મૃત્યુ પાછળનું સંભવિત કારણ શું છે તે અંગે તમામ પ્રકારની ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ઘણા લોકો તેને કોરોના અને તેની રસી સાથે પણ જોડી રહ્યા છે. આ અભ્યાસનો હેતુ આવી ઘટનાઓ પાછળના વાસ્તવિક કારણની તપાસ કરવાનો છે.

સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો ચાલતા અથવા ડાન્સ કરતી વખતે અથવા જીમમાં વર્કઆઉટ કરતી વખતે અચાનક નીચે પડી જાય છે અને મૃત્યુ પામે છે. ખાસ વાત એ છે કે તેમાં મોટાભાગના યુવાનો છે. એક કાર્ડિયોલોજિસ્ટે કહ્યું, 'હું સૂચન કરું છું કે લોકોએ કાર્ડિયાક અરેસ્ટના લક્ષણોને અવગણવા ન જોઈએ, પછી ભલે તેમની ઉંમર ઓછી હોય અને ફિટનેસ સારી હોય. સમયાંતરે હેલ્થ ચેકઅપ પણ કરાવવું જોઈએ.

મૃત્યુ પામનારાઓમાં મોટા ભાગના યુવાનો
અકસ્મિક મૃત્યુના કિસ્સામાં નિષ્ણાતોએ હવે પોસ્ટમોર્ટમ કરવાનું પણ સૂચન કર્યું છે. જો મૃતક યુવાન હોય અને તેને હૃદયરોગ ન હોય તો આવા કિસ્સામાં પોસ્ટમોર્ટમની સલાહ આપવામાં આવી છે. એક નિષ્ણાતે કહ્યું, 'આનાથી મૃત્યુનું સાચું કારણ શોધવામાં મદદ મળશે. અને જો પોસ્ટમોર્ટમમાં મૃત્યુનું કારણ હૃદય સંબંધિત રોગ હોય, જેની મૃતક વ્યક્તિને અગાઉ જાણ ન હતી, તો તેના પરિવારની પણ તપાસ કરી શકાય કે તેમને પણ હૃદયની કોઈ બીમારી તો નથી. હૃદય સંબંધિત કેટલીક બીમારીઓ એવી હોય છે કે જો પરિવારમાં કોઈને હોય તો અન્ય સભ્યોમાં પણ થવાની શક્યતા રહે છે.

હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત
હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે તફાવત છે. હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયમાં જતું લોહીનો પુરવઠો અવરોધાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના મતે હાર્ટ એટેક એ 'સર્ક્યુલેશન' સમસ્યા છે. પરંતુ બીજી તરફ, કાર્ડિયાક અરેસ્ટ એ 'ઇલેક્ટ્રિકલ' સમસ્યા છે. કાર્ડિયાક અરેસ્ટ એ હાર્ટ એટેક કરતાં વધુ ઘાતક છે કારણ કે હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે અથવા ખૂબ જ અનિયમિત થઈ જાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow