સુખ-સમૃદ્ધિની કામના સાથે ચોથ વ્રત કરવામાં આવે છે, રવિવારે ગણેશ પૂજન સાથે દાન-પુણ્ય પણ કરો

રવિવાર, 27 નવેમ્બરે માગશર મહિનાના સુદ પક્ષની ચોથ છે, આ તિથિએ ગણેશજીની ખાસ પૂજા અને વ્રત કરવામાં આવે છે. રવિવારે ચોથ હોવાથી આ દિવસે સૂર્યદેવની પણ પૂજા કરવી. એક મહિનામાં બે ચોથ આવે છે. આ પ્રકારે વર્ષમાં કુલ 24 ચોથ રહે છે, જ્યારે કોઈ વર્ષમાં અધિક માસ રહે છે, ત્યારે બે ચોથ વધી જાય છે. આ તિથિના સ્વામી ગણેશજી છે, કેમ કે આ તિથિએ ગણેશજી પ્રકટ થયાં હતાં.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચોથના દિવસે કરવામાં આવતા વ્રત-ઉપવાસ અને પૂજાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ દિવસે પૂજા સાથે જ જરૂરિયાતમંદ લોકોને પોતાની શક્તિ પ્રમાણે દાન-પુણ્ય ચોક્કસ કરવું જોઈએ. હાલ ઠંડીનો સમય છે તો ધાબળો, ગરમ કપડાનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. ગણેશજીની પૂજા કરો, પરંતુ ધ્યાન રાખો ગણેશજીને તુલસી ચઢાવવી જોઈએ નહીં.

ગણેશજીને તુલસી કેમ ચઢાવવી નહીં?
ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોને તુલસી સાથે જ ભોગ ચઢે છે. ગણેશજીની પૂજા તુલસી વર્જિત માનવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર, તુલસીએ ગણેશજી જોડે લગ્ન કરવાની પ્રાર્થના કરી હતી, પરંતુ ગણેશજીએ તુલસી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી, જેને લીધે તુલસી ક્રોધિત થયાં અને ગણેશજીને 2 લગ્નનો શાપ આપ્યો. આ શાપને લીધે ગણેશજી પણ ક્રોધિત થઈ ગયા હતા અને તેમને તુલસીને શાપ આપ્યો કે તેમના લગ્ન એક અસુર જોડે થશે. આ સાંભળીને તુલસી દુઃખી થઈ ગયાં. તેમણે ગણેશજી પાસે ક્ષમા માગી. ત્યારે ગણેશજીએ કહ્યું, તમારા લગ્ન ભલે એક અસુર સાથે થાય પણ, તમે ભગવાન વિષ્ણુને પ્રિય રહેશો, પરંતુ મારી પૂજામાં વર્જિત રહેશો.

ગણપતિને દૂર્વા કેમ ચઢાવવામાં આવે છે?
દૂર્વા એક પ્રકારનું ઘાસ છે, જે ગણેશજીની વિશેષ અર્પણ કરવામાં આવે છે. ગણેશજી અને દૂર્વાનો સંબંધ અંગે અનલાસુર નામના અસુરની કથા પ્રચલિત છે. કથા પ્રમાણે, તમામ દેવતા અને મનુષ્ય અનલાસુરના આતંકથી કંટાળી ગયા હતા. ત્યારે દેવરાજ ઈન્દ્ર, તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પહોંચ્યા હતાં. શિવજીએ કહ્યું, આ કામ માત્ર ગણેશજી જ કરી શકે છે. ત્યાર બાદ તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ ગણેશજી પાસે પહોંચ્યાં હતાં.
દેવી-દેવતા અને તમામ પ્રાણીઓની રક્ષા કરવા માટે ગણેશજી અનલાસુર સાથે યુદ્ધ કરવા પહોંચ્યા. ત્યારે બંને વચ્ચે ઘમાસાણ થયું હતું. અનલાસુર પરાજિત નહોતો થઈ રહ્યો, ત્યારે ગણેશજી તેને પકડી ગળે ઉતારી દીધો. ત્યાર બાદ ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી.
ગણેશજીના પેટની બળતરા શાંત કરવા માટે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવી અને ગણેશજીને એનું સેવન કરવાનું જણાવ્યું. દૂર્વા ગ્રહણ કરતાં જ તેમના પેટની બળતરા શાંત થઈ. ત્યારથી જ ગણેશજીને દૂર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ.