પાંચ લાખ સુધીની આવક કરમુક્ત કરવાની કેન્દ્ર સરકારની વિચારણા

કેન્દ્ર સરકાર વૉલન્ટરી ઇન્કમ ટેક્સ ફ્રેમવર્કમાં ફેરફાર કરવાનો વિચાર કરી રહી છે. આ માટે કરવેરાના હાલના સ્લેબમાં ફેરફાર થાય તેવી શક્યતા છે. સરકારી સૂત્રોના મતે, આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય કરશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિમલ જૈનના મતે, વૉલન્ટરી ઇન્કમ ટેક્સ ફ્રેમવર્ક હેઠળ હાલ વાર્ષિક રૂ. 2.5 લાખ સુધીની આવક સંપૂર્ણ કરમુક્ત છે. વિવિધ કપાત પછી વાર્ષિક રૂ. પાંચ લાખ સુધીની આવક કરમુક્ત થાય છે.
આગામી બજેટમાં સરકાર રૂ. પાંચ લાખ સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ કરમુક્ત કરી શકે છે. આ છૂટ મેળવવા માટે કરતાદાઓએ કોઇ રોકાણ કે કર મુક્તિનો ખર્ચ બતાવવાની પણ જરૂર નહીં પડે. જો કોઇ કરદાતાની વાર્ષિક આવક રૂ. છ લાખ છે, તો તેણે સ્લેબ પ્રમાણે ફક્ત રૂ. એક લાખ પર જ કરવેરો ભરવો પડશે. હાલ જેમની વાર્ષિક આવક 5થી 7.50 લાખ છે તેમણે નવી સ્કીમ હેઠળ 10 ટકા આવકવેરો ચૂકવવાનો હોય છે. નવી સ્કીમમાં ભાડુ તેમજ વીમાના પ્રિમિયમ પર કપાત મળતી નહીં હોવાથી લોકપ્રિય નથી.
બે મુખ્ય કારણ
1 આગામી સામાન્ય ચૂંટણી પહેલાં કેન્દ્રનું આ છેલ્લું બજેટ હશે. સરકાર સામાન્ય કરદાતાઓને મોટી રાહત આપવા ઇચ્છે છે.
2 વૈશ્વિક પડકારો વચ્ચે ઘરેલુ અર્થતંત્રમાં માગ વધારવા સામાન્ય લોકોના ખિસ્સામાં વધુ રકમ આપવાની વ્યૂહનીતિ.
જૂની પેન્શન યોજનાથી રાજ્યોની નાણાકીય સ્થિતિ કથળશે: RBI
રિઝર્વ બેન્કે જૂની પેન્શન યોજના લાગુ કરવા સામે રાજ્ય સરકારોને ચેતવણી આપી છે. આરબીઆઇએ કહ્યું છે તે ઓપીએસ લાગુ કરવાથી રાજ્યોની નાણાકીય સ્થિતિને લાંબાગાળા માટે ગંભીર નુકસાન પહોંચી શકે છે. રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડ સરકારે કેન્દ્ર સરકાર તેમજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) સમક્ષ તેમના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાનાં તેમના નિર્ણય અંગે માહિતી આપી હતી. આ સરકારોનાં નિર્ણય બાદ કેન્દ્ર સરકાર બાદ હવે આરબીઆઇ દ્વારા રાજ્યોને એલર્ટ કર્યા છે.