પાકના વાવેતર, ઉત્પાદન અને આવકનું ગણિત અટપટું બન્યું

આ વખતે ચોમાસામાં અનરાધાર અને પાછોતરા વરસાદને કારણે પાક-પાણીનું ચિત્ર બદલાયું છે. તો બીજી તરફ શિયાળાની સિઝન 15 નવેમ્બરથી શરૂ થતી હોય છે. બે દિવસ બાદ અડધો ડિસેમ્બર પૂરો થઈ જાશે. નવેમ્બર પછી મહત્તમ તાપમાન 32થી 33 ડિગ્રી રહ્યું છે. ઠંડી જોઈ તેવી પડી નથી.

ખેડૂતની ભાષામાં શિયાળો મોડો છે. જેને કારણે પણ પાક-પાણીને અસર થશે. શિયાળો મોડો શરૂ થતા અને ચોમાસું લાંબું ચાલવાને કારણે ઘઉં, લસણની સિઝન માર્ચના બદલે એપ્રિલમાં શરૂ થશે. ઓછી ઠંડી પડવાને કારણે જીરામાં જીવાતનો ડર રહેશે અને આંબામાં સામાન્ય રીતે ડિસેમ્બરમાં મોર આવી જતા હોય છે જો તે પણ સમયસર નહિ આવે તો કેરીનો પાક પણ મોડો આવશે તેમ ખેડૂત હિરજીભાઈ પટેલે જણાવ્યું છે. વધુમાં તેના જણાવ્યાનુસાર એક તો સિઝન વગરનો વરસાદ નડ્યો છે. શિયાળુ પાક હોય તેને વાતાવરણની જરૂર હોય છે.
કુદરતી-કૃત્રિમ પરિબળને કારણે બજારનું ચિત્ર
1 યાર્ડમાં ગત વર્ષની સરખામણીએ કપાસની આવક ઘટી છે. ગત નવેમ્બરમાં કપાસની આવક 7 હજાર ક્વિન્ટલ હતી. જ્યારે આ વખતે 3થી 4 હજાર ક્વિન્ટલ આવક છે.
2 કપાસના નીચા ભાવને કારણે લેવાલી નથી. ઓઈલમિલમાં પિલાણ ઓછું છે. નવેમ્બરમાં કપાસિયા તેલમાં નોંધપાત્ર ભાવઘટાડો થયો, બાર માસના તેલ ભરવામાં હજુ ખરીદી નીકળી નથી. ડિસેમ્બરમાં ખરીદી નીકળશે.
3 શિયાળુ શાકભાજી નવરાત્રિ પૂરી થતાની સાથે જ આવી જતા હોય છે, પરંતુ ભારે વરસાદને કારણે આ વખતે તેની આવક પણ મોડી થઇ છે. શિયાળુ શાકભાજી શરૂ થયા તે પહેલા બીજા રાજ્યમાંથી મગાવવા પડતા હતા હવે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી શાકભાજી બીજા રાજ્યમાં જાય છે.
4 વરસાદને કારણે તલના પાકને સૌથી વધુ નુકસાન ગયું છે. નવેમ્બર માસમાં તલ 3500ની સપાટી કુદાવી ગયા હતા. શિયાળામાં તલની ડિમાન્ડ સૌથી વધુ હોય છે. હાલ અત્યારે તલનો ભાવ રૂ. 2960 એ થયો છે.
5 કપાસનો ભાવ વધતા આ વખતે કપાસનું વાવેતર વધારે થયું પરંતુ હાલમાં આવક ઓછી છે. જોકે અત્યારે મુખ્ય આવક હોય છે. જોકે ખેડૂતો હજુ કપાસના ભાવ વધવાની આશા સેવી રહ્યા છે. એક એવો પણ અંદાજ છે કે, કપાસનો ભાવ રૂ. 2000ની સપાટીએ પહોંચશે. ભાવ ઊંચા ગયા બાદ કપાસની આવક વધશે.
ઘઉં-જીરું | ઉત્પાદન ઘટવાની સંભાવના વ્યક્ત કરતા ખેડૂતો
સામાન્ય રીતે નવેમ્બર અંત સુધીમાં ખેડૂતો ઘઉંનું વાવેતર કરી દેતા હોય છે. ઠંડી ઓછી પડવાને કારણે તેની પૂરી ફૂટ થશે નહિ. મોડી અને ઓછી ઠંડી શરૂ થવાને કારણે ઉત્પાદન પર અસર આવશે. એક બાજુ ઘઉં તેના લોટની નિકાસ પર પ્રતિબંધ છે. હાલમાં શોર્ટ સપ્લાય છે.
તેને કારણે ભાવ વધવાની શક્યતા છે. જો સિઝન મોડી શરૂ થશે તો વધુ ભાવ વધશે તેવો અંદાજ છે. જીરુંને ઠંડા વાતાવરણની જરૂરિયાત રહેતી હોય છે. તેમાં પણ ઉત્પાદન ઓછું આવે તેવી સંભાવના છે. તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

લસણ | નવી સિઝનમાં ભાવ વધશે
સૌરાષ્ટ્રમાં મધ્યપ્રદેશનું લસણ વધુ વેચાય છે. કારણ કે તેના લસણની ગુણવત્તા સારી હોય છે. જો કે, ભાવવધારો ચોક્કસ આવશે. પરંતુ કેટલો આવે તેનો અંદાજ અત્યારથી લગાવી શકાય તેમ નથી. અત્યારે બજારમાં જે લસણ છે તે જૂનું છે. હાલ યાર્ડમાં કિલોના ભાવ રૂ. 20 છે. અને આવક 1200 ક્વિન્ટલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં લસણનું વાવેતર ઓછું થયું છે. ભાવ વધ-ઘટ માટેનું બીજું પરિબળ હિમાચાલ પ્રદેશની આવક પર રહેશે. હાલ શિયાળો હોવાથી લસણની ડિમાન્ડ વધારે રહે છે.