સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે બજેટનો સ્વાદ મધુરો, સોના-ચાંદી માર્કેટને વરખ ન ચઢાવ્યું, 10 લાખ કરદાતાના મોં મીઠા થયા

બુધવારે કેન્દ્ર સરકારનું બજેટ જાહેર થયું છે. આ બજેટમાં એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગ માટે અનેક યોજના જાહેર કરવામાં આવી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ આ યોજના ઉદ્યોગ-જગતને ફાયદાકારક સાબિત થશે. આમ, આ બજેટ ઉદ્યોગ જગત માટે મીઠું બની રહેશે.
જ્યારે સોનામાં ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા સહિત અનેક આશા હતી, પરંતુ તે ફળીભૂત નથી થઈ. આથી આ બાબતને લઈને સોની વેપારીમાં થોડી નિરાશા છે. સોની વેપારીના જણાવ્યાનુસાર આ બજેટથી સોના-ચાંદી બજારમાં વરખ ઓછો થયો છે. જ્યારે સૌરષ્ટ્રના 10 લાખથી વધુ કરદાતાને રાહત મળી છે. તો સૌરાષ્ટ્રમાં પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે. તેવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે. આમ ખેતી માટે, કરદાતાઓ માટે, રોકાણકારો માટે એમએસઈ ઉદ્યોગોને ફાયદો થયો છે.
બજેટમાં મીઠાઈ જેવી મીઠાશ ભેળવાઈ
કેન્દ્રના બજેટને મીઠાઈની થીમમાં રજૂ કર્યું છે. આજના સમયમાં મિક્સ મીઠાઈ અથવા તો એક બોક્સમાં એક કરતા વધુ મીઠાઇ વેચવાનું ચલણ વધ્યું છે. તેને આકર્ષક રીતે રજૂ કરાતી હોય છે. વેપારી- ઉદ્યોગકારોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારના આ બજેટને આકર્ષક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરાયો છે, પણ આમ છતાં સોની વેપારીઓની આશા- અપેક્ષાઓ અધૂરી રહી ગઈ છે. આ અપેક્ષા પૂર્ણ નથી થતા બજેટમાં વધુ વરખ કરવાની જરૂર હતી તેવો સૂર ઊભો થયો છે.
ગળ્યા-મોળા સ્વાદ અંગે વેપારી-ઉદ્યોગકારોએ રજૂ કરેલા મંતવ્યો
એમએસએમઈ
રાજકોટ- સૌરાષ્ટ્રના 90 ટકા એમ.એસ.એમ.ઈ.ને ફાયદો થશે. સેક્ટરને બૂસ્ટ મળવાથી રોજગારીમાં પણ વધારો થશે. 3 કરોડની અંદરના ટર્નઓવર વાળા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને ટેક્સમાં રાહત આપવામાં આવશે. તેમજ જે 45 દિવસમાં પેમેન્ટ કરવાની યોજના જાહેર કરાઈ છે. તેનાથી નાણાં સમયસર મળતા થઇ જશે. - વી.પી.વૈષ્ણવ, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ
સોના-ચાંદી બજાર
સોનામાં ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટે તેવી અપેક્ષા હતી, પરંતુ એવું થયું નહિ. ઊલટાનું ચાંદી પર જે ડ્યૂટી હતી તે વધારવામાં આવી છે. જેને કારણે ચાંદી મોંઘી થશે. ચાંદી મોંઘી થતા ખરીદી પણ ઘટશે.સોના પર જે ડ્યૂટી ઘટાડવાની વાત હતી. તે ઘટાડી દીધી છે. પરંતુ સેસ વધારી દીધી છે. તેમજ લેબગ્રેન ડાયમંડ માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી છે. - રમેશભાઈ લોલારિયા, બોર્ડ મેમ્બર જેમ્સ એન્ડ જ્વેલરી એસો.
કરદાતા-રોકાણકારો
નાના કરદાતાઓ માટે બેઝિક ટેક્સની રકમ ઘટશે. સૌરાષ્ટ્રમાં નાના મોટા મળી અંદાજિત કુલ 25 લાખ કરદાતાઓ નોંધાયા છે. જેમાં ટેક્સમાં રાહત અને અન્ય લાભનો માત્ર 10 લાખ કરદાતાઓને જ તેનો ફાયદો મળશે. બજેટમાં રોકાણકારો માટે કોઈ પ્રોત્સાહક યોજના જાહેર નથી કરાઈ. રોકાણ ઘટવાનો અંદાજ છે. - રાજીવ દોશી, સીએ અને ગ્રેટર ચેમ્બર પ્રમુખ
ખેતી માટે જે યોજના જાહેર કરી છે. તેનાથી એ સાબિત થાય છે કે, ભારત દેશના અર્થતંત્ર માટે કૃષિક્ષેત્ર એક પીઠબળ સમાન છે. ખેતીમાં નવું રોકાણ આવશે એટલે યુવાનો પણ જોડાશે અને રોજગારી પણ વધશે. રાજકોટમાં ખેતી માટે ઉપયોગી સાધનો બનાવતી અનેક કંપનીઓ આવેલી છે. ખેતી એ લોકોના જીવન વ્યવસાય સાથે વધુ સંકળાશે. યુવાનો આવતા ખેતીક્ષેત્રમાં પરિવર્તન આવશે અને નવા સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન મળશે. > શક્તિસિંહ જાડેજા, ખેડૂત