ગુજરાતનું બજેટ રૂ. 3.1 લાખ કરોડનું અને રાજ્યનું કુલ દેવું રૂ. 3.40 લાખ કરોડનું

રાજ્યનું કુલ જાહેર દેવું હવે રૂ. 3.40 લાખ કરોડ થઇ ગયું છે. ગત વર્ષે માર્ચ અંતે જાહેર દેવું રૂ. 3.20 લાખ કરોડ હતું. એ વખતે રાજ્યના દરેક નાગરિકને માથે 46 હજારનું દેવું હતું. જે હવે વધીને રૂ. 48,500 થયું છે. એક જ વર્ષમાં દરેક નાગરિકના માથે રૂ. 2500નું દેવું વધી ગયું છે. ગુજરાતના બજેટમાં આ વિગતો બહાર આવી છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં માથાદીક આવક 74 હજાર રૂપિયા વધી છે.
2017-18માં રાજ્યની માથાદીઠ આવક 1.76 લાખ હતી જે 2022-2023માં 2.50 લાખ થઇ છે. 2018-19ની તુલનામાં 2019-20માં માથાદીઠ આવકમાં 16479નો વધારો નોંધાયો હતો. 2019-20માં માથાદીઠ આવકની સરખામણીએ 2020-21માં આવકમાં માત્ર 873 રૂપિયાનો જ વધારો થયો છે. માથાદીઠ આવકમાં પણ કોરોના મહામારીની સીધી અસર દેખાઇ હતી. પણ હવે માથાદીઠ આવકમાં એક વર્ષમાં 37 હજારનો વધારો અંદાજિત છે.
ગત વર્ષે માર્ચમાં જાહેર દેવું રૂ. 3.20 લાખ કરોડ હતું
ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા સૌથી વધુ સબસિડી
વિભાગ | સબસિડી (રૂપિયામાં) |
કૃષિ અને સહકાર | 3068 કરોડ |
ઊર્જા-પેટ્રોકેમિકલ | 12112 કરોડ |
અન્ન-નાગરિક પુરવઠા | 1857 કરોડ |
બંદરો, વાહનવ્યવહાર | 1787 કરોડ |
અન્ય | 7687 કરોડ |
કુલ | 26511 કરોડ |
રાજ્યના દરેક નાગરિકને માથે 48 હજારનું દેવું
વર્ષ | જાહેર દેવું (રૂપિયામાં |
2018-19 | 217337 કરોડ |
2019-20 | 267651 કરોડ |
2020-21 | 300959 કરોડ |
2021-22 | 320812 કરોડ |
2022-23 | 339683 કરોડ |
રાજય સરકારે વર્ષ 2020-21માં 22,023 કરોડ વ્યાજ ચૂકવ્યું
ગાંધીનગર | રાજય સરકારનું જાહેર દેવું વધી ગયું છે તે બાબતે વિરોધ પક્ષ વારંવાર પ્રશ્નો ઉઠાવે છે ત્યારે સરકારે સોમવારે વિધાનસભા ગૃહમાં સ્પષ્ટ કર્યુ હતું કે, સરકારનું વર્ષ 2021-22નું સુધારેલા અંદાજ પ્રમાણે જાહેર દેવું રૂ. 3,20,812 કરોડ છે. આ પેટે સરકારે વર્ષ 2021-22માં સુધારેલ અંદાજ પ્રમાણે રૂ. 23,063 કરોડ જાહેર દેવાના વ્યાજ પેટે ચૂકવ્યા છે,આ સાથે તે જ વર્ષમાં રૂ. 24,454 કરોડ દેવામાં ઘટાડો કરીને મુદત પેટે પણ ચૂકવ્યા છે. રાજય વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના બે નેતાઓ અર્જૂન મોઢવાડિયા અ્ને અમિત ચાવડાએ જાહેર દેવાનો એક જ પ્રશ્ન પૂછયો હતો.
આ પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું હતું કે, નાણાંકીય સંસ્થાઓ પાસેથી રૂ. 17,812 કરોડ 2.75થી8.75 ટકા વ્યાજથી લીધી છે.બજાર લોન મેળવીને રૂ. 2,64,703 કરોડ 6.68થી 9.75 ટકા મેળવ્યા છે. એન.એસ.એસ.એફ.લોન રૂ. 28,497 કરોડની 9.50થી10.50 ટકા વ્યાજના દરે લીધી છે. જયારે કેન્દ્રિય દેવા પેટે રૂ. 9,799 જીરોથી 13 ટકા સુધીના દરે લીધી છે. રાજય સરકારે તા. 31 જાન્યુઆરી,2023ની સ્થિતિ પ્રમાણે વર્ષ 2020-21માં વ્યાજ પેટે રૂ. 22,023 કરોડ ચુકવ્યા છે અને વર્ષ 2021-22માં વ્યાજ પેટે રૂ. 23063 ચૂકવ્યા છે. સરકારે દેવામાં ઘટાડો કરતા મુદલમાં પણ વર્ષ 2020-21માં 17,920 કરોડ અને વર્ષ 2021-22માં 24,454 કરોડ મળીને કુલ રૂ. 42,174 કરોડની રકમ ચુકવી છે.